નવી દિલ્હી : દેશની તમામ બેંકોમાં આજથી 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ત્રણ દિવસ પહેલા આની જાહેરાત કરી હતી. ગ્રાહકો રૂ. 2000 ની ચલણી નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે.
RBI અનુસાર, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ કાયદેસર રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એક દિવસ પહેલા પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હાલની નોટો અમાન્ય રહેશે નહીં. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ નોટ બદલવા માટે કોઈ ઓળખ કાર્ડની જરૂર નહીં પડે અને ન તો કોઈ ફોર્મ ભરવાનું રહેશે.
રિઝર્વ બેંક અનુસાર, ગ્રાહકો એક સમયે 20,000 રૂપિયાની મહત્તમ કિંમતની માત્ર 10 નોટો જ બદલી શકશે, પરંતુ આ નોટોને ખાતામાં જમા કરાવવા પર કોઈ મર્યાદા નથી.