મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની આગામી સપ્તાહની બેઠકમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે MPC વ્યાજ દરમાં સ્થિરતા જાળવી રાખશે. એપ્રિલમાં મળેલી બેઠકમાં MPCએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પાછલા નાણાકીય વર્ષમાં રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. દેશમાં ફુગાવાને કાબૂમાં રાખવા માટે રેપો રેટમાં સતત વધારો કરવો પડ્યો.
એક બેન્કરે જણાવ્યું હતું કે, MPC તેની 8મી જૂનની બેઠકના અંતે રેપો રેટ સ્થિર રાખે તેવી શક્યતા વધુ છે, કારણ કે ફુગાવો હવે નીચે આવી રહ્યો છે અને છેલ્લા નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ પણ અપેક્ષા કરતાં સારી રહી છે.
દેશમાં એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો ઘટીને 4.70 ટકા પર આવી ગયો છે, જે રિઝર્વ બેન્કના ચાર ટકાના લક્ષ્યાંકની નજીક કહી શકાય. એપ્રિલમાં મોંઘવારી દર 18 મહિનાની નીચી સપાટીએ આવી ગયો છે. રિટેલ ફુગાવો 2% અને 4% ની વચ્ચે જાળવી રાખવાની જવાબદારી RBIની છે. દેશનો આર્થિક વિકાસ દર પણ ગયા નાણાકીય વર્ષમાં 7.20 ટકા અને માર્ચ ક્વાર્ટરમાં 6.10 ટકા રહ્યો છે.
ઉપભોક્તાવાદની અસર અને કોમોડિટીના ભાવમાં ઘટાડો અને નાણાકીય નીતિ કડક થવાને કારણે છૂટક ફુગાવો ઘટી રહ્યો છે. જોકે, અલ નીનોની અસરને જોતાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાનું જોખમ નકારી શકાય નહીં, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
MPCએ ફુગાવાને 4 ટકા સુધી નીચે લાવવા માટે પાછલા વર્ષમાં નાણાકીય નીતિને વધુ કડક બનાવી છે, તેથી આગામી બેઠકમાં વ્યાજદર સ્થિર રાખવાને પ્રાથમિકતા આપવામાં આવશે. રેટિંગ એજન્સીના એક વિશ્લેષકે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરતાં પહેલાં રાહ જુઓ અને જુઓની નીતિ અપનાવશે.
અન્ય એક બેન્કરે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં રેટ વધારવાના ચક્રમાં MPCA ફેડરલ રિઝર્વ કરતાં 50 ટકા વધુ કડક છે અને રિઝર્વ બેન્ક પણ પરિણામો પર નજર રાખી રહી છે, તેથી તે આ તબક્કે વ્યાજદરમાં વધુ વધારો કરવાનું પસંદ કરશે નહીં.