વારાણસી: યુપીમાં નગરપાલિકાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ આજે 13 મેના રોજ પરિણામો આવવાના છે. નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી અંગે ચૂંટણી પંચે અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે. યુપીમાં મ્યુનિસિપલ કાઉન્સિલના 198 અધ્યક્ષ અને 5,260 સભ્યોને ચૂંટવા માટે મતદાન થયું હતું.
નગર પંચાયતોના 542 અધ્યક્ષ અને નગર પંચાયતના 7,104 સભ્યોના ભાવિનો નિર્ણય કરવા માટે મતદારોએ પણ મતદાન કર્યું હતું. એકંદરે, 163 લોકોના પ્રતિનિધિઓ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે 14,522 પદો માટે 83,378 ઉમેદવારો મેદાનમાં હતા, અને તેમના ભાવિનો આજે નિર્ણય થશે.
ચૂંટણી પંચે મત ગણતરીને લઈને અનેક માર્ગદર્શિકા જારી કરી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ મતગણતરી સ્થળે મોબાઈલ પર પ્રતિબંધ રહેશે. 200 મીટરની ત્રિજ્યામાં કોઈને પણ જવા દેવામાં આવશે નહીં. સમગ્ર રાજ્યમાં લાગુ પડેલા પ્રતિબંધના આદેશને ધ્યાનમાં રાખીને કોઈપણ ઉમેદવારને વિજય સરઘસ કાઢવા દેવામાં આવશે નહીં. પોલીસ પ્રશાસન લુખ્ખાઓ પર સતત નજર રાખી રહ્યું છે, કોઈપણ પ્રકારની હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.