અમદાવાદ | ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેશે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોની તેમના કૃષિ પાકને લઈને ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. દરમિયાન આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના અંબાજીમાં મુશળધાર વરસાદ વરસ્યાના સમાચાર છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પણ વરસાદ પડી શકે છે. બુધવારે દાહોદ, પંચમહાલ અને ડાંગમાં વરસાદની સંભાવના છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં 4 મેથી મુશળધાર વરસાદ પડશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં અમરેલી જિલ્લાના ધારીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાવરકુંડલામાં દોઢ ઈંચ કમોસમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગરડામાં એક ઈંચ, અમરેલી, નખત્રાણા, લાઠી, કલ્યાણપુરમાં 0.25-0.25 ઈંચ, જસદણમાં અડધો ઈંચ, વલ્લભીપુર, ઉમરગા, વિલીયા, ખાંભા, અંજારમાં 0.25-0.25 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ શહેરમાં પણ અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. ઉનાળાની વચ્ચે વરસાદી માહોલના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયું છે.