(GNS),29
ભારત, પાકિસ્તાન, ચીન સહિત 8 દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા 6.3 જણાવવામાં આવી રહી છે. ભારતના પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતના રાજ્યોમાં 5.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા છે. આસપાસના દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂકંપ મોનિટરિંગ સંસ્થા EMSCએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 70 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થાનિક સમય અનુસાર સવારે 10.19 વાગ્યે 5.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તુર્કીમાં કહરમનમારસથી 24 કિમી દક્ષિણમાં 3.6ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો.આ સાથે જ પાકિસ્તાનના ઈસ્લામાબાદ, ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
સીરિયાની સરહદે તુર્કીના દક્ષિણ-પૂર્વમાં 7.7 અને 7.6ની તીવ્રતાના ધરતીકંપોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. જેના કારણે તુર્કિયેમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર ગાઝિયનટેપથી 37 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં હતું. એકલા તુર્કીમાં ભયંકર ભૂકંપમાં લગભગ 60 હજાર લોકો માર્યા ગયા. ભૂકંપના આંચકાઓને કારણે તુર્કીનો આ વિસ્તાર 80 સેકન્ડ સુધી ધ્રૂજતો રહ્યો. ઈમારતો પત્તાના ઘરની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
આ ભૂકંપના કારણે તુર્કીને 118 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. તુર્કીમાં ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપને કારણે સેંકડો ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. ગયા વર્ષે નવેમ્બરમાં નેપાળમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભારતના અનેક રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. 9 નવેમ્બરના રોજ ડોટી જિલ્લામાં ભૂકંપના કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પહેલા 2015ના ભૂકંપમાં નેપાળમાં 9000 લોકોના મોત થયા હતા.