ગાંધીનગરઃ પૂર્વ સીએમ વિજય રૂપાણીને પંજાબની જવાબદારી સોંપ્યા બાદ હવે ભાજપ હાઈકમાન્ડે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પાંચ ક્લસ્ટરની જવાબદારી ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને આપી છે. તેમાં ઉત્તરાખંડના ટિહરી, ગઢવાલ, હરિદ્વાર અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર, કૈરાનાની જવાબદારી સામેલ છે.
ભાજપ હાઈકમાન્ડે ગુજરાત સહિત દેશની 160 જેટલી નબળી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બાકાત રહેલ પૂર્વ સીએમ નીતિન પટેલને ભાજપની નેતાગીરીએ ફરી સક્રિય કરી દીધા છે. આ પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવવા ઉપરાંત તેમને દિલ્હીની ત્રણ લોકસભા સીટોની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપે આજથી 30 જૂન સુધી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 9 વર્ષ પૂરા કર્યા છે, જે બાદ ભાજપ કેન્દ્રની ઉપલબ્ધિઓ સાથે તેનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરશે. આ ઉપરાંત ભાજપ દરેક લોકસભા સીટ માટે મોટી રેલી પણ કરશે. આ જન સંપર્ક અભિયાનની જવાબદારી પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને સોંપવામાં આવી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ત્રણ વખત સીએમ બનવાનું ચૂકી ગયા છે.