ગાંધીનગર.
દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખથી વધુ મકાનોનું નિર્માણ પૂર્ણ થયું છે. તેમાંથી કુલ 7.50 લાખ ઘરો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ બનાવવામાં આવ્યા છે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2015 માં શહેરી વિસ્તારોના લોકોને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા અને શહેરી ગરીબ અને મધ્યમ વર્ગને સસ્તું આવાસ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની જાહેરાત કરી હતી. જે પછી ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાનું ઘર આપવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) લાગુ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ, ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસ એકમોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં કુલ 9.54 લાખ આવાસ એકમો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર મકાનોમાંથી 7.50 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના મકાનોનું કામ વિવિધ તબક્કામાં પ્રગતિમાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ વર્ષ 2022-23માં એક લાખથી વધુ રહેણાંક એકમોનું બાંધકામ પૂર્ણ કરવાની યોજના છે, જેના માટે 1066 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાઓના સંકલન દ્વારા મૂળભૂત માળખાકીય સુવિધાઓ સાથે અત્યાર સુધીમાં 4,06,000 થી વધુ આવાસ એકમોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે આ યોજના હેઠળ કુલ રૂ. 4877.72 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ, વર્ષ 2022-23માં 1,84,605 મકાનો બાંધવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે અંતર્ગત લાભાર્થીઓને 2215.26 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરવામાં આવશે.