બંગાળ શિક્ષક ભરતી કેસમાં કૌભાંડ: બંગાળ શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી EDએ મંગળવારે મોડી રાત્રે સુજય કૃષ્ણ ભદ્રાની ધરપકડ કરી હતી. સુજયને ટીએમસી નેતા અભિષેક બેનર્જીના ખૂબ નજીકના માનવામાં આવે છે.
કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ભદ્રા ગયા અઠવાડિયે ED સમક્ષ હાજર થયા હતા. તે અગાઉ પણ ઘણી વખત સીબીઆઈ સમક્ષ હાજર થઈ ચૂક્યો છે. સીબીઆઈ આ ભરતી કૌભાંડની પણ તપાસ કરી રહી છે.
આ કૌભાંડ અંગે અભિષેક બેનર્જીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસની તપાસના સંદર્ભમાં આ ઘટના બની હતી. સીબીઆઈએ 20 મેના રોજ અભિષેક બેનર્જીને બોલાવ્યા હતા અને તેમની 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, બેનર્જીએ પાછળથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને અપીલ કરી કે એજન્સી કોઈપણ બળજબરીભર્યા પગલાંનો ઉપયોગ ન કરે.
26 મેના રોજ સુપ્રીમ કોર્ટે બેનર્જીને રાહત આપી ન હતી. સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈની તપાસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત કલકત્તા હાઈકોર્ટે 25 લાખનો દંડ ફટકારવાના નિર્ણય પર રોક લગાવી હતી. કલકત્તા હાઈકોર્ટે 18 મેના રોજ તપાસ એજન્સીઓને બેનર્જીની પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.
જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને પીએસ નરસિમ્હાની વેકેશન બેન્ચે કહ્યું કે તેઓ તેમની રજાઓ પછી આ મામલાની સુનાવણી કરશે. તેમણે સુનાવણીની તારીખ 10 જુલાઈ નક્કી કરી છે.