બોટાદ.
બોટાદ શહેરમાં એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં નગરના કૃષ્ણસાગર તળાવમાં 5 સગીરાના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનામાં બે બાળકો ન્હાતી વખતે તળાવમાં પડી ગયા હતા. દરમિયાન બંને બાળકો ડૂબવા લાગ્યા હતા અને તેમને બચાવવા તળાવમાં કૂદી પડેલા અન્ય 3 સગીરો પણ ડૂબી ગયા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે 5 વાગ્યાના સુમારે 5 સગીર કૃષ્ણ સાગર તળાવમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી 2 બાળકો ડૂબી જતાં બહાર ઉભેલા 3 સગીર બાળકોને બચાવવા તળાવમાં કૂદી પડ્યા હતા. આ રીતે પાંચ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની જહેમત બાદ 5 સગીરોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
પ્રાથમિક તપાસમાં મૃતક સગીરોની ઓળખ અહેમદ વડવાનિયા (16), અશરફ વડવાનિયા (13), જુનેદ કાઝી (17), અશદ ખંભાતી (16) અને ફૈઝાન ગાંજા (16) તરીકે થઈ છે. આ તમામ બોટાદ-સલંગપુર રોડ પર આવેલા મહંમદનગર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે.