અમેરિકાના પ્રવાસે ગયેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે. ભારતીય સમય અનુસાર ગુરુવારે મોડી રાત્રે તેમણે પીએમ મોદી વિશે ફરી એકવાર મોટી વાત કરી. અહીં વોશિંગ્ટનની નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણી જીતશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં જીતની ચર્ચા કરતા કહ્યું કે આ ઉપલબ્ધિનું એક મુખ્ય કારણ બેરોજગારી અને વધતી કિંમતો છે. આપણે એમ ન કહી શકીએ કે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે. રાહુલે કહ્યું કે વિપક્ષ સંપૂર્ણ રીતે એક થઈ રહ્યો છે અને અમે ભાજપને હરાવીશું. તેમણે કહ્યું કે આ વખતે પરિણામો ચોંકાવનારા હશે.
ત્યારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ મુદ્દે હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથે લેતા ટ્વીટ કર્યુ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમની લડાઈ ‘ભાજપ’ સાથે છે કે ‘ભારત’ સાથે? જો તમે ભાજપ સાથે છે તો દેશની અંદર હાજર મંચો સાથે ખૂબ લડો, પરંતુ દેશની બહાર વારંવાર દેશનું અપમાન કરવાનું બંધ કરો. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનો માટે દેશની માફી માંગવી જોઈએ.
દેશની બહાર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની આદત બની ગઈ છે. જ્યારે પણ તે વિદેશ જાય છે, ત્યારે તે ભારત અને તેની લોકશાહીને નીચું દેખાડવાના નિવેદનો કરે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ભારતની વિશ્વસનિયતા નવી ઉંચાઈઓને સ્પર્શી રહી છે, વિશ્વ આશાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે, તેવા સમયે રાહુલ ગાંધીનું ભારતને વિદેશની ભૂમિથી નીચું દર્શાવતું નિવેદન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.