ગાંધીનગર: રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો છઠ્ઠો તબક્કો 31 મેના રોજ પૂર્ણ થયો છે. ગાંધીનગરથી શરૂ થયેલા આ અભિયાનમાં કુલ 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 104 દિવસના અંતે 31 મે સુધી 23,860 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
આજે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટના પ્રવક્તા હૃષીકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે આ 104 દિવસીય અભિયાન દ્વારા કુલ 12,70,000 માનવ-દિવસની રોજગારી સર્જાઈ છે. રાજ્ય સરકાર અને સેવાકીય સંસ્થાઓના સહયોગથી 80:20 યોજના હેઠળ કુલ 161 ચેકડેમના સમારકામની કામગીરી ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 31-5-2023 પછી કોઈ નવા ચેકડેમનું સમારકામ હાથ ધરવામાં આવશે નહીં. રાજ્યની નર્મદા યોજના ઉપરાંત અન્ય 206 મહત્વના જળાશયોમાં. 26-5-2023 સુધીમાં 2 લાખ મિલિયન ઘનફૂટથી વધુનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. જેમાં 31 મે સુધી પીવાના પાણીના વપરાશ માટે 73 જળાશયોમાં 10500 મિલિયન ઘનફૂટ પાણી અનામત રાખવામાં આવશે અને ખેડૂતોની માંગના આધારે જળાશયનું વધારાનું પાણી ખરીફ પૂર્વ સિંચાઈ માટે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ તબક્કામાં રાજ્યભરમાં 74,510 વોટર હાર્વેસ્ટિંગ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યના 33 જિલ્લામાં જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફૂટનો વધારો થયો છે અને 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. આ લોકભાગીદારી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંગ્રહ વધારવા, ભૂગર્ભજળના સ્તરમાં વધારો, સિંચાઈ વ્યવસ્થા સુધારવા, કૃષિ ઉત્પાદનમાં વધારો, પાણીનો બગાડ ઘટાડવા અને પર્યાવરણમાં સુધારો કરવાનો છે.