સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામની આજુબાજુમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો અઢી વર્ષનો બાળક કોઠવા ગામની નાળામાં રમતા રમતા પડી ગયો હતો. બીજી તરફ બાળકની શોધખોળ બાદ આજે બાળકની લાશ ગટરમાંથી મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
મુળ મહારાષ્ટ્રના વતની અને હાલ માંગરોળ તાલુકાના વાલેસા ગામે રહેતા રામજીભાઈ રમણભાઈ વસાવેને અઢી વર્ષનું બાળક હતું. કોઠવા ગામની સીમમાં આ પરિવાર ડ્રેજીંગનું કામ કરી રહ્યો હતો ત્યારે તેઓનું અઢી વર્ષનું બાળક ખેતરના પાળા પર રમતા રમતા અકસ્માતે કોઠવા નાળામાં પડી ગયું હતું. બીજી તરફ સગાસંબંધીઓએ બાળકની શોધખોળ હાથ ધરી હતી અને આજે કોઠવા ગામની સીમમાં આવેલ નાળામાંથી બાળકની લાશ મળી આવી હતી. બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સાથે જ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
નોંધપાત્ર વાત એ છે કે ઘણી વખત માતા-પિતા પોતાના બાળકોને રમતા છોડીને તેમના કામમાં વ્યસ્ત હોય છે, આવા વાલીઓ માટે આ પ્રકારની ઘટના લાલબત્તી સમાન હોય છે.