ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝનની ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેની પાંચમી ટ્રોફી જીતી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચ રવિવાર 28 મેના રોજ વરસાદને કારણે મોકૂફ રાખવી પડી હતી, જ્યારે ગઈકાલે રિઝર્વ ડે પર મેચ રમાઈ હતી. રવિવાર અને ગઈકાલે એક લાખથી વધુ ક્રિકેટ ચાહકો મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં મેઘરાજાએ માત્ર મોજ જ બગાડી ન હતી પરંતુ કેટલાક તસ્કરોએ ક્રિકેટ ચાહકોની મજા પણ બગાડી હતી. તસ્કરો દર્શકો બનીને મેચ જોવા આવ્યા હતા અને લોકોના મોબાઈલ ફોન ચોરી ગયા હતા. એક અંદાજ મુજબ ગઈકાલે 50 થી વધુ લોકોના મોબાઈલ ચોરાઈ ગયા હતા, જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પાંચ ફરિયાદ નોંધાઈ છે.
વેજલપુરમાં રહેતા રાજેશ તિવારી, ભોપાલમાં રહેતા રાહુલ ગાંધી, સુરતમાં રહેતા ઈશાન મલ્હોત્રા અને નારણપુરામાં રહેતા અભિ કારીયા અને મૌલિક જસાણીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ કરી છે. આ પાંચેય યુવકો રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ જોવા માટે આવ્યા હતા. એક લાખથી વધુની ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગઈ કાલે ક્રિકેટ ચાહકોથી ભરેલું હતું. મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ખૂણેથી ક્રિકેટપ્રેમીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો ત્યારે આટલી મોટી ભીડ જોઈ તસ્કરો ખુશ થઈ ગયા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવાના બહાને તસ્કરો આવ્યા હતા અને તકનો લાભ લઈ મોબાઈલ ફોન અને પર્સની લૂંટ ચલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર અને ગઈકાલે 50થી વધુ લોકોના મોબાઈલ ફોન ચોરાઈ ગયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ પાંચ ફરિયાદ નોંધાઈ છે. હજુ પણ અન્ય લોકો દ્વારા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાની શક્યતા છે. સ્ટેડિયમની અંદર અને બહારથી અનેક લોકોના મોબાઈલ ફોન ચોરાઈ ગયા હતા.