સોમવારે દેશની રાજધાની દિલ્હીમાં થયેલા પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. આ હુમલામાં 10 લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ છે અને હોસ્પિટલમાં તેમની તપાસ ચાલુ છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસને આ ઘટના પાછળના કાવતરાને લગતા ઘણા મહત્વના કડીઓ મળી આવ્યા છે. આ દરમિયાન આસામ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. અહીં દિલ્હી વિસ્ફોટોને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કચર જિલ્લામાં એક નિવૃત્ત શાળાના આચાર્યએ દિલ્હી વિસ્ફોટોને ચૂંટણી સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે આસામ પોલીસે મંગળવારે તેને કસ્ટડીમાં લીધો હતો. રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિએ વિસ્ફોટ સાથે સંબંધિત ફેસબુક પોસ્ટ પર ટિપ્પણી કરી હતી કે, “ચૂંટણી આવી રહી છે.”
આ બાબતની પુષ્ટિ કરતા પોલીસે કહ્યું છે કે આવા નિવેદનો હિંસા ભડકાવી શકે છે. કચરના એએસપી (ક્રાઈમ) રજત કુમાર પાલે જણાવ્યું હતું કે આ વ્યક્તિએ ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. “ગઈકાલે, દિલ્હીમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય સમાચાર છે. કેટલાક લોકો આ સમાચારનો દુરુપયોગ અને રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે વિવિધ સમુદાયો વચ્ચે મતભેદો પેદા કરી શકે છે. તેનાથી સાંપ્રદાયિક ઘટનાઓની શક્યતા વધી શકે છે,” તેમણે કહ્યું.
ASPએ વધુમાં કહ્યું, “અમારા સોશિયલ મીડિયા સેલને માહિતી મળી હતી કે સિલચર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટ પર ટિપ્પણી કરી હતી, જેમાં સમાચારને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે આ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.”

