નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે થયેલા વિસ્ફોટને લઈને હવે શંકા વધુ ઘેરી બની રહી છે કે તે આત્મઘાતી હુમલો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં આ મામલો ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે જોડાયેલો હોવાનું જણાય છે. દિલ્હી પોલીસ કમિશ્નર સતીશ ગોલ્ચાએ જણાવ્યું કે સોમવારે સાંજે લગભગ 6.52 કલાકે એક ધીમી ગતિએ ચાલતી કાર લાલ લાઇટ પર રોકાઈ અને તે દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના ઘણા વાહનોને નુકસાન થયું હતું અને વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ LNJP હોસ્પિટલમાં દાખલ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ હ્યુન્ડાઈ i20 કારમાં થયો હતો, જેમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. તપાસકર્તાઓએ જણાવ્યું કે આ કાર જમ્મુ-કાશ્મીરના પુલવામાના રહેવાસી તારિકની છે, જેને અટકાયતમાં લેવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે આ કાર જાણી જોઈને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે પાર્ક કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓએ હવે તેને શંકાસ્પદ આતંકવાદી હુમલો માનીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે NIA અને NSGની ટીમ આ કેસની સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.
અહેવાલો અનુસાર, ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું છે કે વિસ્ફોટ સમયે કારમાં હાજર ફરિદાબાદ ટેરર મોડ્યુલ સાથે સંકળાયેલા ડો. ઉમર મોહમ્મદનું નામ પણ સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે કારમાંથી મળેલા મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને મૃતકની ઓળખની પુષ્ટિ કરી શકાય.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ કહ્યું કે તમામ સંબંધિત એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. તેમણે કહ્યું કે ગૃહમંત્રીને ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને તમામ અપડેટ્સ શેર કરવામાં આવી રહ્યા છે. ઉચ્ચ સ્તરીય તપાસ ટીમે ઘાયલો અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ શરૂ કરી છે.

