નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી સોમવારે સાંજે જોરદાર વિસ્ફોટથી હચમચી ઉઠ્યું હતું. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટમાં 10 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયાના સમાચાર છે.
આ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ઘાયલોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. વડા પ્રધાને ગૃહ પ્રધાન અમિત શાહ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા પણ કરી છે.
સાંજે લગભગ 7 વાગે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર હ્યુન્ડાઈ i20 હતી, જે લાલ લાઇટ પર બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ અચાનક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે નજીકના વાહનોને નુકસાન થયું. આ વિસ્ફોટમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 24 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ (LNJP)માં દાખલ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘દિલ્હી બ્લાસ્ટમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. વહીવટીતંત્ર તમામ અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે. વડા પ્રધાને એમ પણ કહ્યું કે તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
આ ઘટનાને ગંભીરતાથી લેતા ગૃહમંત્રી અમિત શાહે તપાસ એજન્સીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. દિલ્હી પોલીસ, NIA અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. શાહે કહ્યું કે આવી ઘટનાઓને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં અને ગુનેગારોને જલ્દી પકડવામાં આવશે.
ઘટના બાદ દિલ્હી પોલીસ અને NIAની ટીમો સાથે મળીને તપાસમાં જોડાઈ છે. પ્રારંભિક તપાસમાં એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટ આકસ્મિક હતો કે આતંકવાદી ષડયંત્રનો ભાગ. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને ઘટના સ્થળેથી વિસ્ફોટક સામગ્રીના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી આ સમગ્ર મામલામાં સતત નજર રાખી રહ્યા છે.

