ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સાંસદ અને બિહાર સરકારના પૂર્વ મંત્રી ભીમ સિંહે સંસદમાં લઘુમતીઓની વ્યાખ્યાને ફરીથી વ્યાખ્યાયિત કરવાની માંગ કરી છે. સોમવારે ગૃહમાં વિશેષ ઉલ્લેખ દ્વારા દેશમાં “લઘુમતી”ની વર્તમાન વ્યાખ્યા પર ચિંતા વ્યક્ત કરતા તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે દેશની વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો 14.2 ટકા છે તો પછી તેઓ લઘુમતી કેવી રીતે બન્યા? તેમણે લઘુમતી દરજ્જાની વર્તમાન પ્રકૃતિ અને તેનાથી સર્જાતી અસમાનતાઓ વિશે પણ વાત કરી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં સિંહે સરકારને રાજ્યવાર અથવા જિલ્લાવાર વસ્તીના ગુણોત્તરના આધારે લઘુમતીઓની ઓળખ નક્કી કરવા માંગ કરી હતી. પોતાના મુદ્દાના સમર્થનમાં તેમણે કહ્યું કે આપણા બંધારણમાં લઘુમતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેની વ્યાખ્યા કરવામાં આવી નથી. 1992ના નેશનલ કમિશન ફોર અલ્પસંખ્યક અધિનિયમ મુજબ, જે અંતર્ગત કેન્દ્ર નક્કી કરે છે કે કોણ લઘુમતી છે, દેશમાં આવા કુલ છ સમુદાયો છે જેમને આ દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં મુસ્લિમ, શીખ, પારસી, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધનો સમાવેશ થાય છે.
ઘણા રાજ્યોમાં લઘુમતીઓ બહુમતી છે
આ અંગે પ્રશ્ન કરતાં સિંહે કહ્યું કે એવા પણ ઉદાહરણો છે કે જ્યાં રાષ્ટ્રીય સ્તરે લઘુમતી ગણાતા સમુદાયો કેટલાક રાજ્યોમાં બહુમતીમાં છે. 2011ની વસ્તીના ડેટાના આધારે, તેમણે કહ્યું કે દેશમાં 14.2% મુસ્લિમ વસ્તી છે અને આ એક મોટી સંખ્યા છે, તેમ છતાં તેઓને લઘુમતી ગણવામાં આવે છે, જ્યારે તેઓ બહુમતી સમુદાય પછી બીજા ક્રમે આવે છે. સિંહે કહ્યું કે ભારતમાં ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મુસ્લિમ બહુમતીવાળા છે, જ્યાં તેઓ વસ્તીના 50% કરતા વધારે છે. તેમણે કહ્યું કે લક્ષદ્વીપમાં મુસ્લિમોની વસ્તી 96% છે અને જમ્મુ-કાશ્મીરમાં 69% છે. તેવી જ રીતે, તે આસામમાં 34%, પશ્ચિમ બંગાળમાં 27% અને કેરળમાં 26% છે. આ રાષ્ટ્રીય આંકડો 14.2% કરતા ઘણો વધારે છે.
કાશ્મીરમાં હિંદુ અલ્પસંખ્યક છે પણ કોઈ લાભ મળતો નથી
તેમણે કહ્યું કે વાસ્તવમાં કાશ્મીરમાં હિંદુઓ લઘુમતી છે, પરંતુ તેમને લઘુમતી કલ્યાણ યોજનાઓનો કોઈ લાભ નથી મળી રહ્યો. સિંહે કહ્યું કે ખ્રિસ્તી સમુદાય, જે રાષ્ટ્રીય વસ્તીના 2.3% છે, તે ઘણા રાજ્યોમાં લઘુમતી નથી. ઉદાહરણ તરીકે, 2011ની વસ્તી ગણતરી મુજબ, નાગાલેન્ડમાં 88%, મિઝોરમમાં 87%, મણિપુરમાં 42%, અરુણાચલ પ્રદેશમાં 30% અને ગોવામાં 25% ખ્રિસ્તીઓની વસ્તી છે. આવી સ્થિતિમાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું લઘુમતીઓ માટે મોટી અને રાષ્ટ્રીય વ્યાખ્યા બનાવીને તેમને વિવિધ સામાજિક ક્ષેત્રો અને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવો યોગ્ય છે?

