ક્રિકેટરોને ખૂબ જ શિસ્તબદ્ધ માનવામાં આવે છે, કારણ કે તેમને લાંબા સમય સુધી મેદાન પર રહેવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ જ કારણ છે કે તે નશાની લતથી દૂર રહે છે, કારણ કે તે તેની કારકિર્દીને જોખમમાં મૂકે છે, પરંતુ ઝિમ્બાબ્વેના દિગ્ગજ ક્રિકેટર સીન વિલિયમ્સ કદાચ આ વાત ભૂલી ગયા. કારકિર્દીના છેલ્લા તબક્કામાં આવીને હવે તે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તે નશાની લતનો શિકાર બની ગયો છે. આ ખરાબ લતના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. વધુ પસંદગીની શક્યતા ઓછી છે.
વાસ્તવમાં, ઝિમ્બાબ્વે માટે 273 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા સીન વિલિયમ્સને રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સીન વિલિયમ્સનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરવામાં આવશે નહીં. ઝિમ્બાબ્વે ક્રિકેટ (ZC) એ કહ્યું કે તેણે જાહેર કર્યું કે તે ડ્રગની લત સાથે સંઘર્ષ કરી રહ્યો છે. એક નિવેદનમાં ZCએ નોંધ્યું છે કે “શિસ્તના મુદ્દાઓ અને પુનરાવર્તિત અનુપલબ્ધતાનો ઇતિહાસ, જેણે ટીમની તૈયારીઓ અને પ્રદર્શનને અસર કરી છે.”
સીન વિલિયમ્સ, 39, 20 વર્ષથી વધુની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઝિમ્બાબ્વે માટે તમામ ફોર્મેટમાં 273 મેચ રમી ચૂક્યો છે, પરંતુ ઝિમ્બાબ્વે ક્રિકેટે પુષ્ટિ કરી છે કે તેનો કરાર 2025 પછી રિન્યૂ કરવામાં આવશે નહીં. વિલિયમ્સે તાજેતરમાં ઝિમ્બાબ્વે ટીમમાંથી “વ્યક્તિગત કારણો” ટાંકીને પીછેહઠ કરી હતી.
મંગળવારે 4 નવેમ્બરના રોજ, ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ખુલાસો કર્યો કે તેઓએ તેની અનુપલબ્ધતાનું કારણ નક્કી કરવા માટે આંતરિક તપાસ હાથ ધરી હતી, જે પછી વિલિયમ્સે બોર્ડને કહ્યું કે તે ડ્રગની લત સામે લડી રહ્યો છે અને સ્વેચ્છાએ પુનર્વસન કેન્દ્રમાં દાખલ થયો છે.
2005માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો ત્યારથી, વિલિયમ્સે ઝિમ્બાબ્વે માટે તમામ ફોર્મેટમાં 8000 થી વધુ રન બનાવ્યા છે. વનડેમાં તેનું પ્રદર્શન સર્વોચ્ચ રહ્યું, તેણે 37.53ની એવરેજથી 5217 રન બનાવ્યા, જેમાં આઠ સદી અને 37 અડધી સદી સામેલ છે. આ વર્ષની શરૂઆતમાં, તે જેમ્સ એન્ડરસનને પાછળ છોડીને સૌથી વધુ સમય સુધી સેવા આપનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યો હતો.

