ભાજપના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને મળ્યું. તેમણે રિયાસી જિલ્લામાં સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એક્સેલન્સ દ્વારા જારી કરાયેલ પ્રથમ પ્રવેશ સૂચિને રદ કરવાની માંગ કરી હતી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે પસંદગીની યાદી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રતિનિધિમંડળે આક્ષેપ કર્યો હતો કે પ્રવેશ મેળવનારા મોટાભાગના વિદ્યાર્થીઓ એક સમુદાયના હતા. તેમણે વહીવટીતંત્રને અપીલ કરી હતી કે જે વિદ્યાર્થીઓને માતાજીમાં શ્રદ્ધા છે તેમને પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવે.
રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, બેઠક દરમિયાન શર્મા સાથે ધારાસભ્યો શામ લાલ શર્મા, સુરજીત સિંહ સલાથિયા, દેવેન્દ્ર કુમાર મન્યાલ અને રણબીર સિંહ પઠાનિયા હાજર હતા. મીટિંગ પછી પત્રકારો સાથે વાત કરતા શર્માએ જણાવ્યું હતું કે, ‘અમે SMVDIME માં પ્રવેશની પ્રથમ બેચના સંદર્ભમાં એક અસાધારણ અને મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં બહુમતી બેઠકો ચોક્કસ સમુદાયના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે.’
શું છે ભાજપના નેતાઓની માંગ?
સુનીલ શર્માએ કહ્યું, ‘અમારો વિરોધ એ દલીલ પર આધારિત છે કે આ સંસ્થા ભક્તોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી છે. શ્રાઈન બોર્ડને મળતું દાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યો માટે હતું. SMVDIME ને આ વર્ષે MBBSની 50 બેઠકો માટે મંજૂરી મળી છે. કોલેજની પ્રથમ બેચ (2025-26)માં ચોક્કસ સમુદાયના 41 વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને વિવાદ સર્જાયો છે. કેટલાક જમણેરી જૂથો પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કોલેજને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે.

