ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખરીદવામાં છ કંપનીઓએ રસ દાખવ્યો છે. અદાણી ગ્રુપ પણ આમાં સામેલ છે. RCBની માલિકી ડિયાજિયો ગ્રેટ બ્રિટનની છે. Cricbuzzના અહેવાલ મુજબ, RCBની માલિક કંપનીએ IPL અને WPL ટીમોના વેચાણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને તેને આશા છે કે આ પ્રક્રિયા 31 માર્ચ, 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે.
આરસીબીએ આ વર્ષે પ્રથમ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. 2008માં લીગની શરૂઆત થઈ ત્યારથી, તેણે 17 સીઝનમાં ક્યારેય ટાઇટલ જીત્યું ન હતું. આખરે 18 વર્ષ પછી તેણે IPL ટ્રોફી પર કબજો કર્યો. સંજોગવશાત, પ્રથમ ટાઇટલ જીત્યા પછી, ફ્રેન્ચાઇઝીના વેચાણ અંગેની ચર્ચાએ વેગ પકડ્યો હતો અને હવે તે સત્તાવાર રીતે પ્રકાશમાં આવ્યું છે કે આરસીબી વેચવા જઇ રહી છે.
ક્રિકબઝના અન્ય અહેવાલ મુજબ, સામાન્ય લાગણી એ છે કે ડીએજીઓ આરસીબીના વેચાણ અંગે છેલ્લી ક્ષણે યુ-ટર્ન લઈ શકે છે. જોકે, આઈપીએલ ટીમને મુખ્ય વ્યવસાય અને કામગીરીથી અલગ રાખવાને કારણે કંપનીના ઘણા શેરધારકોમાં બેચેની છે. તેઓ ઈચ્છે છે કે આઈપીએલ અને ડબલ્યુપીએલ ટીમો વેચવી જોઈએ.
રિપોર્ટ અનુસાર, RCB ખરીદવામાં રસ દાખવનારી કંપનીઓમાં અદાણી ગ્રુપ ઉપરાંત અદાર પૂનાવાલાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને પાર્થ જિંદાલનું JSW ગ્રુપ સામેલ છે. JSW અન્ય IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સમાં પણ 50 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય દિલ્હીના એક મોટા બિઝનેસ ટાયકૂન પણ RCBને ખરીદવા માંગે છે. આ સિવાય અમેરિકાની બે પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ પણ તેમાં રસ દાખવી રહી છે.

