તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દાવો કર્યો છે કે ISISનો અબુ હુસૈન અલ-કુરેશી સીરિયામાં એક ઓપરેશનમાં માર્યો ગયો છે. આ અંગેની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે તુર્કીની સેનાએ સીરિયામાં ઓપરેશન શરૂ કર્યું છે. એર્દોગને ટીવી પર આ દાવો કર્યો હતો. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટે થોડા મહિના પહેલા કહ્યું હતું કે તેના પૂર્વ ચીફ અબુ હસન અલ-હાશિમી અલ કુરેશીની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ અબુ હુસૈને તેનું સ્થાન લીધું હતું.
એર્દોગને કહ્યું કે તેમનું સંગઠન લાંબા સમયથી Daesh/ISISના શંકાસ્પદ નેતાને ફોલો કરી રહ્યું છે. તેનું કોડ નેમ અબુ હુસૈન અલ કુરેશી છે. તેમણે કહ્યું કે તુર્કી આતંકવાદી સંગઠનો સામે લડી રહ્યું છે અને આવી જ રીતે લડતું રહેશે. 2013માં તુર્કીએ Daesh/ISISને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
આતંકી સંગઠને તુર્કી પર અનેક વખત હુમલા કર્યા હતા. 10 આત્મઘાતી હુમલામાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે સેંકડો ઘાયલ પણ થયા હતા, ત્યારબાદ તુર્કીએ આતંકવાદી સંગઠન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. તુર્કીના રાષ્ટ્રપતિએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પશ્ચિમી દેશોમાં પણ ઈસ્લામિક ઉગ્રવાદ કેન્સરની જેમ ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમી દેશોએ હજુ સુધી આતંકવાદના પડકાર સામે લડવા માટે કોઈ સાર્થક પ્રયાસ કર્યા નથી.
અમેરિકાએ 15 એપ્રિલની આસપાસ ઉત્તર સીરિયામાં હેલિકોપ્ટરથી હુમલો પણ કર્યો હતો. અમેરિકાએ કહ્યું કે ISIS યુરોપ અને મધ્ય એશિયામાં મોટા હુમલા કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પછી યુએસ સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો કે તેણે આઈએસના વરિષ્ઠ નેતાને મારી નાખ્યો છે. તે જ સમયે, એર્દોગને દાવો કર્યો હતો કે ઘણા દેશોમાં મસ્જિદો અને મુસ્લિમોને નિશાન બનાવતા હુમલા વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તુર્કીની સેના આતંકવાદી સંગઠનોને હરાવવા માટે તમામ પ્રયાસો કરશે.