નાની બચત યોજનાઓ: જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS)માં રોકાણ કર્યું હોય તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. આ ખાતાઓને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. તેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. જો સમય ગાળામાં આ યોજનાઓ સાથે આધાર લિંક નહીં થાય, તો ખાતું ફ્રીઝ કરવામાં આવશે.
હકીકતમાં નાણા મંત્રાલયે નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આ માટે કેન્દ્ર સરકારે 31 માર્ચ 2023ના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે તમારે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખાતું ખોલાવવું પડશે.
જો લિંક ન હોય તો શું?
જો તમે આ યોજનાઓ સાથે આધાર લિંક નહીં કરો તો તમને આ યોજનાઓ હેઠળ વ્યાજનો લાભ નહીં મળે. તેમજ એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવશે.
આધારને કેવી રીતે લિંક કરવું
તમે તમારા આધારને ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓ દ્વારા લિંક કરી શકો છો. ઑફલાઇન લિંકિંગ માટે તમારે પોસ્ટ ઑફિસ અથવા નજીકની બેંકમાં જવું પડશે. ત્યાં આધાર લિંક કરવાનું ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે આધારની ફોટોકોપી સાથે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. તમે તેને પોસ્ટ ઓફિસની વેબસાઇટ અથવા બેંકની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન લિંક કરી શકો છો.