બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને કલાકારોની શાનદાર એક્ટિંગને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ‘એનિમલ’ની રિલીઝ પહેલા જ રણબીર કપૂરનું નામ નીતિશ તિવારી અને મધુ મંટેના દ્વારા પ્રોડ્યુસ કરી રહેલી ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડવામાં આવી રહ્યું છે. ફિલ્મને લઈને કોઈને કોઈ માહિતી સતત બહાર આવી રહી છે. થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ સિવાય સુપરસ્ટાર યશની પણ તેમાં મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. હવે ફિલ્મના શૂટિંગને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ફિલ્મ ‘રામાયણ’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને તેને લગતી કેટલીક માહિતી સતત સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે અને સાઈ પલ્લવીને માતા સીતાનો રોલ આપવામાં આવશે. સુપરસ્ટાર યશ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવતો હોવાનું કહેવાય છે. શૂટિંગ સાથે જોડાયેલી માહિતી અનુસાર, તેનું અમુક શૂટિંગ 2024ના ઉનાળાથી શરૂ થવાનું છે. થોડા દિવસો પહેલા નવા વર્ષની શરૂઆત સાથે જ શુટીંગ શરૂ થવાની માહિતી સામે આવી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.