આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાં મોટી સફળતા મળી છે. કુપવાડા જિલ્લામાં શુક્રવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ તમામ પાકિસ્તાની આતંકવાદીઓ છે અને આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ જાણકારી કાશ્મીરના ADGP વિજય કુમારે આપી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, શુક્રવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પાંચ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
ચોક્કસ બાતમીના આધારે, સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીર જિલ્લામાં અંકુશ રેખા પાસે જુમાગુંડ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યું, જે વહેલી સવારે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) વિજય કુમારે ટ્વીટ કર્યું કે, “એન્કાઉન્ટરમાં પાંચ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા. વિસ્તારમાં શોધખોળ ચાલુ છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 13 જૂને કુપવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ ઓપરેશન કુપવાડા જિલ્લાના ડોબનાર માચલના સરહદી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જ્યાં સેના અને કુપવાડા પોલીસે મળીને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓનો ઢગલો થઈ ગયો છે.