સુપ્રીમ કોર્ટે આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ઉત્તરાધિકાર સંબંધિત બાબતોમાં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ કરવાની હાઈકોર્ટની સૂચનાઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન પુનરોચ્ચાર કર્યો છે કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 અનુસૂચિત જનજાતિના લોકોને લાગુ પડતો નથી.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશને ફગાવી દીધો હતો, જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં દીકરીઓને હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ મુજબ મિલકતનો વારસો મળશે અને આદિવાસી રિવાજો મુજબ નહીં.
કાયદામાં શું?
લાઇવ લૉના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે HCનો આ નિર્દેશ હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 2(2)ની વિરુદ્ધ છે. આ અધિનિયમની કલમ 2(2) મુજબ, “આ અધિનિયમમાં સમાવિષ્ટ કોઈપણ કાયદો કોઈપણ અનુસૂચિત જનજાતિના સભ્યોને બંધારણની કલમ 366 ની કલમ (25) ના અર્થમાં લાગુ પડશે નહીં સિવાય કે કેન્દ્ર સરકાર, સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા, અન્યથા નિર્દેશ આપે.”
હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ
વાસ્તવમાં, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના 2015ના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં દીકરીઓને પરંપરાગત કાયદાને બદલે હિંદુ ઉત્તરાધિકાર ધારા દ્વારા સંચાલિત કરવી જોઈએ, જેથી સામાજિક અન્યાય અને શોષણ અટકાવી શકાય. જો કે, તિરિથ કુમાર અને અન્ય વિ. દાદુરામ અને અન્ય (2024) માં તેના અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કરતા, બેન્ચે પુનરોચ્ચાર કર્યો કે અનુસૂચિત જનજાતિના સભ્યોને સ્પષ્ટપણે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમના અવકાશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

