પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. મૃત્યુની અફવાઓ વચ્ચે, હવે તેમની જ પાર્ટીના એક સાંસદે દાવો કર્યો છે કે ખાન હજુ પણ જીવિત છે અને અદિયાલા જેલમાં છે. પરંતુ તેમના પર જલદીથી દેશ છોડવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી સતત ઈમરાન ખાનના મોતના સમાચારો ફરતા હતા. તેમના પુત્ર અને બહેને પણ ખાન જીવિત હોવાના પુરાવાની માંગણી કરી હતી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિશે વહેતી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા, પાર્ટીના સાંસદ ખુર્રમ ઝીશાને ઈમરાનના મૃત્યુના સમાચારને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા. તેમણે ANIને જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન હાલમાં અદિયાલા જેલમાં કેદ છે. તેણે એમ પણ કહ્યું હતું કે ખાનને અલગ રાખવા અને તેને જેલમાં સતાવવો એ તેને પાકિસ્તાન છોડવા માટે દબાણ કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.
તેમણે કહ્યું, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એક મહિનો થઈ ગયો છે અને ખાનને જેલમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તેમના પરિવાર, વકીલો અને પીટીઆઈના નેતાઓને પણ તેમને મળવા દેવાયા નથી. આ માનવાધિકારનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. એવું લાગે છે કે તેમને કંઈક કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમની હિંમત તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”
વાસ્તવમાં આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઈમરાનના પુત્ર કાસિમે તેના પિતા સાથે મુલાકાત માટે સમય માંગ્યો. જો કે, આ અફવાઓને વધુ બળ મળ્યું જ્યારે ઈમરાનની બહેનો અને તેના પુત્રોને કોર્ટના આદેશ છતાં તેને મળવા દેવાયા ન હતા. જેના કારણે ઈમરાન ખાનની જેલમાં જ હત્યા કરવામાં આવી હોવાની અટકળો વહેતી થઈ હતી.
કાસિમે કહ્યું, “મારા પિતા છેલ્લા 845 દિવસથી જેલમાં બંધ છે. છેલ્લા છ અઠવાડિયાથી તેમને મૃત્યુદંડની જેલમાં રાખવામાં આવ્યા છે. અમારો તેમની સાથે કોઈ સંપર્ક નથી.”

