પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો, પરંતુ તેમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. બંને પક્ષોએ છેલ્લા બે મહિનાથી અમલમાં રહેલા યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરીને ગોળીબાર માટે એકબીજાને દોષી ઠેરવ્યા હતા. નવેમ્બરમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ઘટાડવા અને યુદ્ધવિરામ જાળવવાના ઉદ્દેશ્યની મંત્રણા નિષ્ફળ ગઈ, પરંતુ ઓક્ટોબરમાં કતાર દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલ યુદ્ધવિરામ કરાર મોટાભાગે અકબંધ રહ્યો.
ગોળીબારના એક દિવસ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે તે સંયુક્ત રાષ્ટ્રને ચમન અને તોરખામ સરહદો દ્વારા અફઘાનિસ્તાનમાં રાહત સામગ્રી મોકલવાની મંજૂરી આપશે. વધતા તણાવને કારણે આ સરહદો લગભગ બે મહિનાથી બંધ છે. પાકિસ્તાની સ્થાનિક પોલીસ અધિકારી મોહમ્મદ સાદિકે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાન તરફથી ગોળીબાર શરૂ થયો હતો અને પાકિસ્તાની સૈનિકોએ ચમન સરહદ પાસે જવાબી કાર્યવાહી કરી હતી.
કાબુલમાં અફઘાન તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પાકિસ્તાન પર ગોળીબાર શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબિદુલ્લા ફારૂકીએ પણ કહ્યું કે પહેલા પાકિસ્તાની સેનાએ સ્પિન બોલ્ડક બોર્ડર વિસ્તારમાં અફઘાનિસ્તાન તરફ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો, ત્યારબાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના પ્રવક્તા મુશર્રફ ઝૈદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે અગાઉ સાંજે ‘અફઘાન તાલિબાન શાસને ચમન બોર્ડર પર કોઈ કારણ વગર ગોળીબાર કર્યો હતો.’ તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના દેશની પ્રાદેશિક અખંડિતતા અને તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે સતર્ક અને પ્રતિબદ્ધ છે.
ઓક્ટોબરમાં સરહદી અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ સંઘર્ષમાં ડઝનબંધ સૈનિકો, નાગરિકો અને શંકાસ્પદ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા અને બંને પક્ષોના સેંકડો લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 9 ઓક્ટોબરે થયેલા વિસ્ફોટો બાદ હિંસા ફાટી નીકળી હતી. તાલિબાન સરકારે આ વિસ્ફોટો માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તાજેતરના વર્ષોમાં બંને પાડોશી દેશો વચ્ચે આ સૌથી ઘાતક સંઘર્ષ હતો. કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામ કરારથી અમુક અંશે તણાવ ઓછો થયો, પરંતુ ઇસ્તંબુલમાં અનુગામી શાંતિ વાટાઘાટો કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી.

