સરકારે પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને મંજૂરી આપતા સોમવારે લોકસભામાં સસ્ટેનેબલ એક્સપ્લોઇટેશન એન્ડ અપગ્રેડેશન ઓફ ન્યુક્લિયર એનર્જી બિલ, 2025 (શાંતિ બિલ, 2025) રજૂ કર્યું છે. સરકારે કહ્યું છે કે આ બિલ 1962 પછી દેશના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સૌથી મોટો સુધારો લાવવા જઈ રહ્યું છે. સોમવારે અણુ ઊર્જા રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે તેને લોકસભાના પૂરક એજન્ડામાં સામેલ કર્યું અને તેને ગૃહના ટેબલ પર રજૂ કર્યું.
સરકારના જણાવ્યા અનુસાર, બિલનો મુખ્ય ઉદ્દેશ્ય પરમાણુ ઉર્જાનો સુરક્ષિત અને ટકાઉ ઉપયોગ વધારવાનો છે, જેથી વીજ ઉત્પાદન ઉપરાંત, તે સ્વાસ્થ્ય (કેન્સરની સારવાર), કૃષિ (પાક સંરક્ષણ અને રેડિયેશન), જળ શુદ્ધિકરણ, ઉદ્યોગ, પર્યાવરણ સંરક્ષણ અને વૈજ્ઞાનિક નવીનતા જેવા ક્ષેત્રોમાં વ્યાપક લાભ મેળવી શકે. સરકારે એમ પણ કહ્યું છે કે બિલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ખાનગી ક્ષેત્ર (દેશી અને વિદેશી કંપનીઓ)ને પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. બિલમાં કરવામાં આવી રહેલી જોગવાઈઓ 2047 સુધીમાં ભારતમાં 100 ગીગાવોટ પરમાણુ ક્ષમતાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરે તેવી અપેક્ષા છે, ખાસ કરીને નાના મોડ્યુલર રિએક્ટર (એસએમઆર) દ્વારા.
બિલમાં શું છે?
આ બિલ એટોમિક એનર્જી એક્ટ 1962 અને સિવિલ ન્યુક્લિયર ડેમેજ લાયબિલિટી એક્ટ 2010ને રદ્દ કરીને નવો, એકીકૃત કાયદો બનાવવા જઈ રહ્યું છે. આ બિલમાં સ્વતંત્ર પરમાણુ સુરક્ષા નિયમનકારની સ્થાપના, જવાબદારીના નિયમોમાં સુધારો, વિવાદના સમાધાન માટે વિશેષ ટ્રિબ્યુનલ અને કોઈપણ પ્રકારના નુકસાન પર દાવાઓ દાખલ કરવાની પણ જોગવાઈ છે.
પર્યાવરણને અનુકૂળ
સરકારે કહ્યું છે કે આ બિલ ‘વિકસિત ભારત 2047’ના વિઝનનો એક ભાગ છે અને તેનો હેતુ પરમાણુ ટેકનોલોજીને સ્વચ્છ, સ્થિર અને ટકાઉ ઉર્જા સ્ત્રોત તરીકે સ્થાપિત કરીને આબોહવા-મૈત્રીપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ બિલ ઊર્જા સુરક્ષાને મજબૂત કરીને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતાને ઘટાડે છે અને સરકારે તેને નેટ-શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય (2070)માં યોગદાન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

