શેખ હસીના સરકારમાં સંચાર મંત્રી રહી ચૂકેલા મોહમ્મદ અલી અરાફાતનું નિવેદન બાંગ્લાદેશની સ્થિતિને લઈને આવ્યું છે. તેમણે કહ્યું કે જુલાઈ 2024માં વિરોધ પ્રદર્શનને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે.તેમણે કહ્યું કે ઉગ્રવાદી ઈસ્લામિક દળોએ શેખ હસીનાની ચૂંટાયેલી સરકાર પર હુમલો કર્યો. અરાફાતે તો ત્યાં સુધી કહ્યું કે ચૂંટણી માત્ર દેખાડો છે. વર્તમાન સરકાર તમામ સત્તા BNAP અને અન્યને સોંપશે. ઉલ્લેખનીય છે કે BNP નેતા તારિક રહેમાન બ્રિટનમાં નિર્વાસિત જીવન વિતાવ્યા બાદ બાંગ્લાદેશ પરત ફર્યા છે. તેમની માતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું તાજેતરમાં નિધન થયું હતું.
1971ના હુમલાનો ઉલ્લેખ
શેખ હસીનાની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરાફાતે કહ્યું કે જ્યારે 1971માં પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે આ દેશ માટે ઘણા લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. પાકિસ્તાન સમર્થિત દળો આ વાત સમજી શકતા નથી. જે લોકો હસીના સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના મનમાં ઝેર ભરેલું છે. આ લોકોમાં અવામી લીગ અને ભારત સામે કડવાશ છે કારણ કે અમે તેમને 1971માં હરાવ્યા હતા. મોહમ્મદ અલી અરાફાતે કહ્યું કે ચૂંટણી યોજવી એ માત્ર ઢોંગ છે. આ સાથે તેમણે લોકો પર થઈ રહેલા હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
અરાફાતે કહ્યું કે આ લોકોએ સાંસ્કૃતિક સંસ્થાઓ પર હુમલો કર્યો. હિન્દી સમુદાય, અહમદીઓ, ખ્રિસ્તીઓ અને કોઈપણ જે ઈસ્લામિક વિચારોની વિરુદ્ધ છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સંપૂર્ણ વિનાશના માર્ગે જઈ રહ્યું છે. પરંતુ અમે આવું થવા દઈશું નહીં. અમે પાછા ફરીશું અને દેશમાં લોકશાહી ફરી પાછી આવશે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી છે. થોડા દિવસોના ગાળામાં જ ત્રણ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. ગુરુવારે, અજ્ઞાત બદમાશોએ એક હિન્દુ વેપારી પર નિર્દયતાથી હુમલો કર્યો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને પછી તેને આગ લગાવી દીધી. અગાઉ 18 ડિસેમ્બરના રોજ, કથિત નિંદાના આરોપમાં મયમનસિંહ શહેરમાં દીપુ ચંદ્ર દાસ નામના 25 વર્ષીય હિન્દુ વ્યક્તિને ટોળાએ માર માર્યો હતો અને તેના શરીરને સળગાવી દેવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પછી, 24 ડિસેમ્બરના રોજ, અમૃત મંડલ નામના અન્ય એક હિન્દુ વ્યક્તિને રાજબારી નગરના પંગશામાં છેડતીના આરોપમાં માર મારવામાં આવ્યો.

