ઈરાનમાં આર્થિક કટોકટી અને દમનકારી નીતિઓ વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હવે બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યા છે. દરમિયાન ઈરાની સત્તાવાળાઓએ દેખાવકારોને કચડી નાખવા માટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. શનિવારે ઈરાનના એટર્ની જનરલે પ્રદર્શનકારીઓને ‘અલ્લાહના દુશ્મન’ જાહેર કર્યા અને તેમને મોતની સજાની ધમકી આપી.
ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ મોવાહેદી આઝાદે સરકારી ટેલિવિઝન પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં સામેલ અથવા તોફાનીઓને મદદ કરનાર કોઈપણને ‘મોહરેબેહ’ (અલ્લાહ વિરુદ્ધ યુદ્ધ) માટે દોષિત ગણવામાં આવશે. ઈરાનના કાયદા હેઠળ આ ગુનાની એકમાત્ર સજા મૃત્યુ છે.
તેમણે નિર્દેશ આપ્યો કે આ લોકો સામે કોઈપણ વિલંબ અને દયા વગર કેસ ચલાવવામાં આવે. સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખમેનીએ પણ સંકેત આપ્યો છે કે હવે દેશવ્યાપી સ્તરે એક મોટી ક્રેકડાઉન શરૂ કરવામાં આવી શકે છે.
ઈરાને બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડવા માટે ઈન્ટરનેટ અને ઈન્ટરનેશનલ ફોન લાઈનો સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આમ છતાં માનવાધિકાર સંગઠનો પાસેથી મળેલી માહિતી મુજબ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી (HRANA) અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા છે. દેખાવો દરમિયાન 2,300 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

