કેનેડાની કેન્દ્ર સરકારે ભારતને લઈને પોતાની અગાઉની ‘ચિંતાઓને બાજુ પર રાખીને મોટું નિવેદન આપ્યું છે. કેનેડાની સરકાર હવે માને છે કે કેનેડામાં હિંસક ગુનાઓ સાથે ભારતનો કોઈ સંબંધ નથી, એમ એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. આ મહત્વપૂર્ણ નિવેદન વડાપ્રધાન માર્ક કાર્નેની ભારતની બહુપ્રતિક્ષિત મુલાકાત પહેલા આવ્યું છે. વરિષ્ઠ અધિકારીઓએ કેનેડા અને ભારત વચ્ચે સુરક્ષા સંવાદ અને સહકારમાં થયેલી પ્રગતિનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
સરકારનું નવું વલણ અને ભારત સાથેના ‘વ્યવહારિક’ સંબંધો
કેનેડિયન અખબાર ટોરોન્ટો સ્ટારે નામ જાહેર ન કરવાની શરતે એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું – અમે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સહિત ખૂબ જ મજબૂત રાજદ્વારી વાતચીત કરી છે, અને અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે તે (હિંસક) પ્રવૃત્તિઓ હવે ચાલુ નથી. અન્ય એક અધિકારીએ કહ્યું કે જો અમે વિચાર્યું હોત કે આવી પ્રવૃત્તિઓ હજુ પણ ચાલુ છે, તો અમે આ યાત્રા બિલકુલ હાથ ધરી ન હોત.
તેમણે કહ્યું કે વડાપ્રધાન માર્ક કાર્ને વ્યવહારુ વિદેશ નીતિના વિઝન પર કામ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ ‘અવિશ્વસનીય’ બની જતાં, કેનેડા હવે 1.4 અબજની વસ્તી ધરાવતા દેશ ભારત સાથે તેના વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે. પીએમ કાર્ને ગુરુવારે મુંબઈ અને નવી દિલ્હી માટે રવાના થઈ રહ્યા છે, જ્યાં તેઓ તેલ, ગેસ નિકાસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોમાં નવી ભાગીદારીની આશા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
ખાલિસ્તાનીઓની ચિંતા અને ધમકીઓ
કેનેડાનું આ નવું વલણ ભારત માટે રાહતરૂપ છે. જો કે ભારતે હંમેશા કેનેડાના વાહિયાત આરોપોને ફગાવી દીધા છે. જો કે કેનેડાનું આ વલણ બ્રિટિશ કોલંબિયા સ્થિત ખાલિસ્તાનીઓ માટે મોટો ફટકો છે. ખાલિસ્તાન સમર્થક મોનિન્દર સિંહે અખબારને જણાવ્યું હતું કે આ અઠવાડિયે વાનકુવર પોલીસ અધિકારીએ તેમને ચેતવણી આપી હતી કે તેમની, તેમની પત્ની અને બાળકોના જીવન તાત્કાલિક જોખમમાં છે. જૂન 2023માં તેના મિત્ર અને સાથી ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ પોલીસ તરફથી તેને આ ચોથી ચેતવણી મળી છે.
વિરોધ
ખાલિસ્તાનીઓના કહેવાતા સંગઠન ‘સિખ ફોર જસ્ટિસ’ના ઘણા વિરોધીઓ બુધવારે પાર્લામેન્ટ હિલ પર કાર્નેની ભારત મુલાકાતના વિરોધમાં એકત્ર થયા હતા. તેઓએ ભારતીય ધ્વજનું અપમાન કરીને વિરોધ કર્યો અને કાર્નેને વડાપ્રધાન પદેથી હટાવવાની માંગણી કરી.

