પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી સંઘર્ષ વધુ ઘેરા બન્યા પછી, શુક્રવારે ભીષણ યુદ્ધ શરૂ થયું છે. પાકિસ્તાને પણ અફઘાનિસ્તાન સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું છે. જો કે હવે પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, કોઈપણ ખતરાને જોતા તાલિબાને અહીં ‘આત્મઘાતી ટુકડી’ તૈયાર કરી છે.
યુદ્ધની સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનની સરકારી સમાચાર એજન્સી બખ્તર ન્યૂઝે કથિત આત્મઘાતી હુમલાખોરોની બટાલિયનની તસવીર જાહેર કરી છે. એજન્સીએ સુરક્ષા સૂત્રોને ટાંકીને કહ્યું કે આ હુમલાખોરો વિસ્ફોટક જેકેટ અને કાર બોમ્બથી સજ્જ છે અને મહત્વપૂર્ણ લક્ષ્યો પર હુમલો કરવા માટે તૈયાર છે. દરમિયાન, તાલિબાનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે ડ્યુરન્ડ લાઇન એટલે કે પાકિસ્તાન સરહદે પક્તિયા, પક્તિકા અને ખોસ્ટ પ્રાંતમાં વિરોધી સૈન્ય કાર્યવાહી તીવ્ર કરવામાં આવી છે.
આ પહેલા સોમવારે અફઘાનિસ્તાને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ઘૂસીને તબાહી મચાવી હતી. ગુરુવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપતાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો જેમાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાને અનેક પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડ્યા હોવાનો પણ દાવો કર્યો છે.
પાકિસ્તાને ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું
પાકિસ્તાનના જણાવ્યા અનુસાર કંદહારમાં એરફોર્સના ફાઈટર પ્લેન સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું છે કે ધીરજનો બંધ તૂટી ગયો છે અને હવે ખુલ્લું યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાની અધિકારીઓ અને અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, દક્ષિણમાં કંદહાર અને દક્ષિણ-પૂર્વમાં પક્તિયા પ્રાંત પર હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનનું કહેવું છે કે આ હુમલા અફઘાનિસ્તાન દ્વારા સીમાપારથી કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. કતાર દ્વારા કરવામાં આવેલ યુદ્ધવિરામ ઉગ્ર હુમલાઓને કારણે નબળો પડી રહ્યો હોવાનું જણાય છે.

