મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઈ-ચલણ સિસ્ટમને લઈને ટ્રાન્સપોર્ટ સંગઠનોમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ એક્શન કમિટીએ ગુરુવાર, 5 માર્ચથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે. સમિતિએ રાજ્ય સરકારને પત્ર પાઠવીને માહિતી આપી છે કે ગુરુવારે બપોરે 12 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં એક મહત્વપૂર્ણ બેઠક મળશે. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો સમગ્ર રાજ્યમાં હડતાળ શરૂ કરવામાં આવશે.
સંગઠનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચક્કા જામ આંદોલનમાં ટ્રક, બસ, ઓટો રિક્ષા, સ્કૂલ બસ, ટેમ્પો સહિતના તમામ વાહનો ભાગ લેશે. સંગઠનોનું કહેવું છે કે જો સરકાર ટૂંક સમયમાં કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો રાજ્યભરમાં મોટા પાયે આંદોલન શરૂ કરવામાં આવશે. આનાથી નૂર પરિવહન, જાહેર પરિવહન અને રોજિંદા ગતિશીલતા પર મોટી અસર પડી શકે છે. હાલમાં તમામની નજર ગુરુવારે યોજાનારી બેઠક પર છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે ટ્રાન્સપોર્ટરોને હડતાળમાં ભાગ ન લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તેમની માંગણીઓનું મંત્રણા દ્વારા યોગ્ય ઉકેલ લાવવા માટે હકારાત્મક છે.
આ મુદ્દો વિધાનસભામાં પણ પડયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે જણાવ્યું હતું કે, 2017માં અમલમાં આવેલી ઈ-ચલણ સિસ્ટમને કારણે વાહન માલિકો પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે. ઘણા વાહનો પર લાખો રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ઘણા કિસ્સામાં વાહનોની કિંમત એટલી હોતી નથી. આવી સ્થિતિમાં વાહન માલિકોને અન્યાય થઈ રહ્યો છે.

