નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાશે. ટીમ ઈન્ડિયા લગભગ 5 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે.
ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામે માત્ર 3 મેચ રમાઈ છે અને ભારતીય ટીમને ત્રણેય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફાઈનલ પહેલા આ આંકડો ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે.
T20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી મેચ 2021માં રમાઈ હતી.દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોમાં ઘણો બદલાવ આવ્યો છે. ભારતીય ટીમની વાત કરીએ તો 5 વર્ષ પહેલા રમાયેલી મેચમાં માત્ર 4 ખેલાડી એવા હતા જે વર્તમાન T20 વર્લ્ડ કપ રમી રહેલી ભારતીય ટીમનો ભાગ છે. આ ખેલાડીઓ છે ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. આ સિવાય અન્ય 7 ખેલાડીઓએ કાં તો આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે અથવા તો તેઓ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા નથી.
તે મેચમાં ઈશાન કિશને 4 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 24 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાને વિકેટ મળી ન હતી જ્યારે જસપ્રિત બુમરાહે 2 વિકેટ લીધી હતી.
ઈશાન, હાર્દિક અને બુમરાહ ત્રણેય વર્લ્ડ કપમાં સારા ફોર્મમાં છે. ઈશાને બેટિંગમાં અને બુમરાહે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહની બોલિંગના કારણે જ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવી શકી હતી. હાર્દિક બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વરુણનું ફોર્મ ઘટી ગયું છે, પરંતુ તે પુનરાગમન કરી શકે છે.
આવી સ્થિતિમાં, આ ચારેય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં ન માત્ર પ્રથમ જીત અપાવવાની સાથે સાથે ભારતને ચેમ્પિયન બનાવવાની પણ તક છે. જૂના આંકડાઓ કે રેકોર્ડ સુધારવાના છે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાનો રેકોર્ડ ઐતિહાસિક રીતે સુધારી શકે છે.

