પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં રવિવારે સવારે એક લગ્ન સમારોહ બાદ ઘરમાં રાખેલ ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જેના કારણે વર-કન્યા સહિત 8 લોકોના મોત થયા હતા. પોલીસ અને અધિકારીઓએ આ જાણકારી આપી. વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લગ્નના મહેમાનો ઉજવણી બાદ દંપતીના ઘરે સૂઈ રહ્યા હતા. આ બ્લાસ્ટને કારણે ઘરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો, જેના કારણે આ અકસ્માત થયો. ઈસ્લામાબાદ પોલીસે આ જાણકારી આપી છે. આ ઘટનામાં અન્ય 7 લોકો ઘાયલ પણ થયા છે.
પોલીસ નિવેદનમાં કહેવાયું છે કે વિસ્ફોટ શહેરના મધ્યમાં આવેલા રહેણાંક વિસ્તારમાં થયો હતો. સરકારી પ્રશાસક સાહિબજાદા યુસુફે જણાવ્યું હતું કે વિસ્ફોટની જાણ રવિવારે વહેલી સવારે થઈ હતી અને અધિકારીઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નજીકના કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. પોલીસે જણાવ્યું કે હજુ તપાસ ચાલુ છે. આ દુ:ખદ ઘટનાએ લગ્નની ઉજવણીને શોકમાં ફેરવતા મોટી દુર્ઘટના બની હતી.
વડાપ્રધાને આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન શેહબાઝ શરીફે આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમના કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદન અનુસાર, તેમણે આરોગ્ય અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ આપ્યો અને સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો. કુદરતી ગેસના નીચા દબાણને કારણે પાકિસ્તાનમાં ઘણા ઘરોમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરોનો ઉપયોગ કરવામાં આવે છે અને ગેસ લીકેજને કારણે આવા સિલિન્ડરો સાથે સંકળાયેલા જીવલેણ અકસ્માતો વારંવાર થાય છે.

