અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી હતી. જો કે આ મેચમાં અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો અને તેની સતત બીજી હાર સાથે આ T20 વર્લ્ડ કપમાં તેની આગળ વધવાની શક્યતાઓ ઘટી રહી છે. આવી સ્થિતિમાં હવે કેપ્ટન રાશિદ ખાન તરફથી એક ભાવુક નિવેદન આવ્યું છે. ભારતને પોતાનું બીજું ઘર માનતા અફઘાન ખેલાડીઓ અને ખુદ કેપ્ટન માટે આ હાર ખૂબ જ પીડાદાયક હતી, કારણ કે અહીંથી વર્લ્ડ કપ જીતવાનું તેમનું સપનું ફરી એકવાર અધૂરું રહી શકે છે.
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ T20 વર્લ્ડ કપ 2026ની સૌથી યાદગાર મેચોમાંની એક બની ગઈ છે. આ શાનદાર મેચનો નિર્ણય એક નહીં પરંતુ બે સુપર ઓવર પછી લેવામાં આવ્યો હતો. મેચ બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન ખૂબ જ ભાવુક અને નિરાશ દેખાતા હતા.
રાશિદ ખાને ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું, “મારા છોકરાઓએ આજે મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું છે.” તેણે પોતાના બોલરોના વખાણ કરતા કહ્યું કે, “દક્ષિણ આફ્રિકાને 190થી અંડર સુધી મર્યાદિત રાખવું એક શાનદાર સિદ્ધિ હતી.” નોંધનીય છે કે અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને નિર્ધારિત 20 ઓવરમાં 187 રન સુધી મર્યાદિત કરી દીધી હતી. મેચની રણનીતિ વિશે વાત કરતા રાશિદ ખાને કહ્યું કે ટીમની યોજના છેલ્લી 10 ઓવરમાં ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવાની હતી.
મેચ બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા રાશિદે કહ્યું કે, “હારનાર ટીમનો ભાગ બનવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.” કેપ્ટનના કહેવા પ્રમાણે, તેની ટીમે જીત હાંસલ કરવા માટે મેદાન પર બધું જ આપી દીધું હતું. મેચના ટર્નિંગ પોઈન્ટની ચર્ચા કરતી વખતે તેણે પાવરપ્લેનો ઉલ્લેખ કર્યો. રશીદે કહ્યું, “પાવરપ્લેની છેલ્લી કેટલીક ઓવરોમાં પ્રારંભિક વિકેટો પડવાને કારણે અમે બેકફૂટ પર હતા.” જો કે ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે 84 રનની તોફાની ઈનિંગ રમીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી.

