પાકિસ્તાન-અફઘાનિસ્તાન લડાઈ: ભારતના બે પડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વિનાશક સ્વરૂપ લઈ રહ્યું છે. તાજેતરના હુમલામાં, અફઘાનિસ્તાનની તાલિબાની સેનાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં વડા પ્રધાનના કાર્યાલયની નજીક ડ્રોન વડે હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો વડાપ્રધાન શાહબાઝ શરીફના કાર્યાલયથી 5 કિલોમીટરના અંતરે કરવામાં આવ્યો હતો. આ હુમલા દ્વારા એક તરફ અફઘાનિસ્તાને પોતાની તાકાત દર્શાવી છે તો બીજી તરફ પાકિસ્તાનના પાવર કોરિડોરમાં હલચલ મચાવી દીધી છે. એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાને કંદહારમાં પાકિસ્તાનના હવાઈ હુમલાનો બદલો ઈસ્લામાબાદમાં ડ્રોન હુમલો કરીને લીધો છે.
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના બોર્ડર પોલીસના પ્રવક્તાના હવાલાથી અત્યાર સુધીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાને પાકિસ્તાન પીએમ ઓફિસથી 5 કિલોમીટર દૂર સુધી હુમલો કરવામાં સફળતા મેળવી છે. અફઘાનિસ્તાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ દાવો કર્યો છે કે કાબુલે ઈસ્લામાબાદમાં હવાઈ હુમલો કર્યો છે. આ સિવાય નૌશેરા, એબોટાબાદ, જમરુદમાં પણ હુમલા કરવામાં આવ્યા છે. ફારૂકીએ કહ્યું, “તેમનો આર્મી કેમ્પ ઈસ્લામાબાદના પીએમ ઓફિસથી 5 કિલોમીટર દૂર છે, અમે ત્યાં હુમલો કર્યો છે.”
ઘણા મહત્વપૂર્ણ સૈન્ય મથકો પર હુમલાનો દાવો પણ
અફઘાન સુરક્ષા દળોએ એવો પણ દાવો કર્યો છે કે તેના હુમલામાં પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ સૈન્ય મથકો અને સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ એવો પણ દાવો કર્યો હતો કે આ હુમલા પાકિસ્તાન દ્વારા કંદહાર, કાબુલ અને પક્તિકામાં કરવામાં આવેલા હવાઈ હુમલાનો જવાબ છે. જો કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

