વિશાખાપટ્ટનમ:આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગા નગરના વેંકટેશ્વર મંદિરમાં શુક્રવારે નાસભાગમાં લોકોના મોત બાદ વિવાદ સર્જાયો છે. મંદિર બનાવનાર ઓડિશાના 94 વર્ષીય હરિ મુકુંદ પાંડાએ શનિવારે કહ્યું હતું કે નાસભાગ માટે કોઈ જવાબદાર નથી, જેમાં એક બાળક સહિત નવ લોકો માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ ઘાયલ થયા હતા.
આંધ્ર પ્રદેશ પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે પાંડા અને મંદિર પ્રબંધનના સભ્યો પર આ કાર્યક્રમના આયોજનમાં કથિત બેદરકારી બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે આયોજકોએ મીટિંગ માટે સત્તાવાર પરવાનગી લીધી ન હતી અને તેઓએ આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનની અપેક્ષા પણ નહોતી કરી.
રાજ્યના એક મંત્રીએ કહ્યું કે સામાન્ય રીતે મંદિરમાં 3,000 થી 5,000 ભક્તો સમાઈ જાય છે, પરંતુ કાર્તિક એકાદશીના શુભ અવસર પર, 25,000 થી વધુ લોકો એકઠા થયા હતા. સરકારી સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે મંદિર ખાનગી રીતે બાંધવામાં આવ્યું હતું અને એન્ડોમેન્ટ્સ વિભાગના નિયંત્રણ હેઠળ નથી. જ્યાં શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા ત્યાં બાંધકામનું કામ ચાલુ હતું અને પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા એક જ હોવાથી ભીડ વધુ વધી ગઈ હતી.
જોકે, પાંડાએ આ દુર્ઘટનાને ‘ઈશ્વરનું કૃત્ય’ ગણાવી હતી. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, ‘કોઈ જવાબદાર નથી, તે ભગવાનનું કૃત્ય હતું.’ શ્રીકાકુલમના પોલીસ અધિક્ષક કે.વી. મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિરમાં એકાદશીના તહેવાર દરમિયાન છ ફૂટ ઊંચી લોખંડની રેલિંગ તૂટી પડતાં અરાજકતા શરૂ થઈ હતી, જેના કારણે ભક્તોનો અચાનક ધસારો થયો હતો. રેડ્ડીએ કહ્યું, ‘તે નાસભાગ નહીં પણ અકસ્માત હતો. છ ફૂટ ઉંચી રેલિંગ તૂટી ગઈ હતી અને તેના કારણે આ કરુણ સ્થિતિ સર્જાઈ હતી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે મંદિર પ્રશાસને આ ઘટના અંગે પોલીસને જાણ કરી ન હતી. તેમણે કહ્યું, ‘જો તેઓએ અમને જાણ કરી હોત તો ભીડને કાબૂમાં રાખવા માટે સુરક્ષા વ્યવસ્થા કરી શકાઈ હોત.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘ભીડને કારણે પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે અને નવ લોકોના મોત થયા છે’. નાયડુએ કહ્યું કે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે અને જવાબદારોની તાત્કાલિક અટકાયત કરવામાં આવશે.

