અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું, ‘અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લાના તે બહાદુર ક્રિકેટરોની શહાદત પર ઊંડો શોક વ્યક્ત કરે છે, જેમને પાકિસ્તાની શાસન દ્વારા કાયરતાપૂર્ણ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા.’ એસીબીના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા ત્રણ ખેલાડીઓ, કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂન શરણામાં ફ્રેન્ડલી મેચ રમીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હુમલો થયો. ACBએ કહ્યું, ‘આ દુ:ખદ ઘટનામાં ઉર્ગુન જિલ્લાના ત્રણ ક્રિકેટરો સહિત આઠ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા. આ ખેલાડીઓ સ્થાનિક ક્રિકેટ મેચ રમીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો.
અફઘાનિસ્તાને પણ પુષ્ટિ કરી છે કે તે નવેમ્બર 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ત્રિકોણીય T20 શ્રેણીમાં ભાગ લેશે નહીં. આ શ્રેણીમાં પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એસીબીએ કહ્યું, “પીડિતો પ્રત્યે આદર અને સંવેદનાના ચિહ્ન તરીકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.” બોર્ડે આ ઘટનાને અફઘાન સ્પોર્ટ્સ જગત અને ક્રિકેટ પરિવાર માટે અપૂર્વીય નુકસાન ગણાવ્યું હતું અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ આ ઘટના પહેલા જ ICCને પત્ર લખીને કહ્યું હતું કે જો અફઘાનિસ્તાનની ટીમ શ્રેણીમાંથી ખસી જાય છે તો વૈકલ્પિક યોજના તૈયાર રાખવી જોઈએ. હવે જ્યારે અફઘાનિસ્તાન સત્તાવાર રીતે ખસી ગયું છે, ત્યારે જોવાનું એ રહે છે કે ICC અને PCB આ ત્રિકોણીય ટૂર્નામેન્ટમાં કઈ ટીમનો સમાવેશ કરે છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં જ બંને દેશોએ બે દિવસીય યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પાકિસ્તાનના આ નવા હુમલાએ શાંતિ કરારને તોડી નાખ્યો હતો. અહેવાલો અનુસાર, આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તાલિબાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને આ હુમલાની સખત નિંદા કરી અને તેને માનવતા વિરુદ્ધ ગણાવ્યું. તેમણે કહ્યું, ‘તાજેતરના પાકિસ્તાની હવાઈ હુમલામાં નિર્દોષ નાગરિકોના મોતના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. આ દુર્ઘટનામાં મહિલાઓ, બાળકો અને તે યુવા ક્રિકેટરો કે જેઓ એક દિવસ દેશને ગૌરવ અપાવવા માંગતા હતા તેમના જીવ ગયા. તેણે કહ્યું, ‘આ હુમલો અમાનવીય અને ક્રૂર છે. નાગરિકોને નિશાન બનાવવું એ માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. હું શ્રેણીમાંથી ખસી જવાના એસીબીના નિર્ણયને સમર્થન આપું છું. આપણા લોકોની ગરિમા કોઈપણ ટૂર્નામેન્ટ કરતા મોટી છે.
પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબીએ કહ્યું, ‘યુવાન ક્રિકેટરોની શહાદતના સમાચાર સાંભળીને મારું હૃદય તૂટી ગયું છે. આ માત્ર પક્તિકા પ્રાંત માટે જ નહીં પરંતુ સમગ્ર અફઘાન ક્રિકેટ પરિવાર માટે દુખદ ઘટના છે. ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ લખ્યું, ‘નિર્દોષ નાગરિકો અને ખેલાડીઓની હત્યા એ ઘૃણાસ્પદ અને અક્ષમ્ય અપરાધ છે. અલ્લાહ શહીદોને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જો આપે અને ગુનેગારોને સજા આપે. આ સન્માનની વાત નથી પરંતુ શરમજનક બાબત છે.
17 થી 29 નવેમ્બર સુધી રાવલપિંડી અને લાહોરમાં યોજાનારી આ ત્રિકોણીય શ્રેણીમાં અફઘાનિસ્તાનનું સ્થાન કોણ લેશે તે અંગે આઈસીસી અને પીસીબી ટૂંક સમયમાં નિર્ણય લેશે.હાલમાં આ ઘટના માત્ર રમત જગત માટે જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો માટે પણ ઊંડો ફટકો સાબિત થઈ છે.

