(GNS),21
2,000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત બાદ આ નિર્ણય પર વિવાદ શરૂ થઈ ગયો છે. વિપક્ષી દળો સરકારના આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યાં છે અને તેની પાછળ કારણ જણાવવાની માંગ કરી રહ્યાં છે. આ ક્રમમાં એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે સીધો પીએમ મોદીને સવાલ પૂછ્યો છે.
ઓવૈસીએ શનિવારે પ્રધાનમંત્રી મોદી પાસે જાણવા ઈચ્છ્યુ કે શું 500 રૂપિયાની નોટ પણ પરત લેવામાં આવશે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત લઈ રહી છે. તેના એક દિવસ બાદ હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર પર પીએમ મોદીને પાંચ સવાલ પૂછ્યા છે. ઓવૈસીએ લખ્યુ- ટોપ અર્થશાસ્ત્રી પીએમ મોદીને પાંચ સવાલ.
ઓવૈસીએ લખ્યુ- તમે સૌથી પહેલા 2000 રૂપિયાની નોટ કેમ જારી કરી? શું અમે 500ની નોટ જલદી પરત લેવાની આશા કરીએ? 70 કરોડ ભારતીયોની પાસે સ્માર્ટ ફોન નથી, તે ડિજિટલ ચુકવણી કઈ રીતે કરે છે? નોટબંધીમાં બિલ ગેટ્સની માલિકીના બેટર ધેન કેશ એલાયન્સની ભૂમિકા શું છે? શું NPCI ને ચીની હેકર્સ દ્વારા હેક કરવામાં આવી રહ્યું છે? જો હા, તો યુદ્ધના કિસ્સામાં ચૂકવણીનું શું થશે? ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2016માં જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટ પરત લેવામાં આવી હતી, ત્યારે 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી.