પ્રખ્યાત સિતારવાદક અનુષ્કા શંકરે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને એર ઈન્ડિયાને ભીંસમાં મૂક્યું છે. વિડિયોમાં, તેણે તેની સિતારના નીચલા ગોળાકાર ભાગમાં ઊંડી તિરાડ બતાવી હતી, જે તાજેતરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે તૂટી ગઈ હતી. પંડિત રવિશંકરની પુત્રી અનુષ્કાએ કહ્યું- ‘આ જોઈને હું સંપૂર્ણપણે ભાંગી ગઈ છું. આ નુકશાન કેવી રીતે થયું? મેં ખાસ કેસનો ઉપયોગ કર્યો હતો અને હેન્ડલિંગ ફી પણ ચૂકવી હતી. 15-17 વર્ષની મુસાફરીમાં આવું પહેલીવાર બન્યું હતું અને તે પણ ભારતીય એરલાઇન દ્વારા.
વિડિયોમાં અનુષ્કાએ દર્દભર્યા અવાજમાં કહ્યું – ‘સૌથી પહેલા મને લાગ્યું કે સિતારના ઉપરના ભાગને નુકસાન થયું છે, તેથી મેં તેને ટ્યુન કર્યું. પરંતુ જ્યારે મેં તેને સ્પર્શ કર્યો, ત્યારે મેં તળિયે ઊંડી તિરાડ જોઈ. જે દેશનું આ સંગીત છે તેની એરલાઈન્સે તેને તોડી નાખ્યું. મેં હજારો ફ્લાઇટ્સ લીધી છે, પરંતુ આવું ક્યારેય બન્યું નથી.
અનુષ્કા શંકરે ‘સિતાર’ તૂટવા પર નારાજગી વ્યક્ત કરી હતી
તેણે કેપ્શનમાં લખ્યું- ‘એર ઈન્ડિયાના વર્તનથી વ્યથિત અને દુઃખી. ઇરાદા વગર આવા નુકસાન કેવી રીતે શક્ય છે? આ ભારતીય સાધન તેમની પાસે સલામત જણાતું નથી. અનુષ્કાએ ફ્લાઇટ કે ડેસ્ટિનેશનનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
અનુષ્કાની સિતાર માત્ર મોંઘી જ નથી પરંતુ ભાવનાત્મક રીતે પણ ખૂબ મૂલ્યવાન છે. તે તેના પિતાના વારસાનું પ્રતીક છે. અનુષ્કા, જે તાજેતરમાં ગ્રેમી એવોર્ડ્સ 2026 માટે શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમમાં ‘ચેપ્ટર III: વી રીટર્ન ટુ લાઇટ’ અને ‘ડે બ્રેક’ માટે શ્રેષ્ઠ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી, તેણે કહ્યું કે આ નુકસાન તેની સંગીત સફરને અસર કરી રહ્યું છે.
સંગીતકાર રિકી કેજે કોમેન્ટમાં લખ્યું- ‘એર ઈન્ડિયાને ભારત સાથે જોડવું ખોટું છે. ટાટા ગ્રૂપ હેઠળની આ એરલાઈન્સ દેશની છબી ખરાબ કરી રહી છે.
એર ઈન્ડિયાએ ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘અમને એક મુલ્યવાન મુસાફરના સંગીતના સાધન સાથેના અનુભવ વિશે માહિતી મળી છે. અમે તેના સાંસ્કૃતિક અને વ્યક્તિગત મહત્વને સમજીએ છીએ અને આ ઘટનાને કારણે થયેલી તકલીફ માટે અમે દિલગીર છીએ. અમે દિલ્હી એરપોર્ટ પર સીસીટીવી ફૂટેજની સમીક્ષા સહિત તપાસ શરૂ કરી છે. એરલાઈને અનુષ્કાનો સંપર્ક કરવા કહ્યું અને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી.
