બાંગ્લાદેશમાં સતત ચાલી રહેલી અશાંતિ અને હિંસા વચ્ચે વચગાળાની સરકારને મોટો આંચકો લાગ્યો છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના ગૃહ મંત્રાલયમાં વિશેષ સહાયક ખુદાબક્ષ ચૌધરીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (IGP) ખુદાબક્ષ ચૌધરીની 10 નવેમ્બર 2024ના રોજ મોહમ્મદ યુનુસના વિશેષ સહાયક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે બળવાખોર નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ દેશમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. દરમિયાન, બુધવારે ઢાકામાં એક ચર્ચ પાસે થયેલા બોમ્બ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાએ રાજધાનીમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે.
ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં હિંસાની નવી લહેર જોવા મળી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ દેશના બે મોટા અખબારો ડેઈલી સ્ટાર અને પ્રથમ આલોની ઓફિસોને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત 1960ના દાયકામાં સ્થપાયેલી બે મોટી સાંસ્કૃતિક સંસ્થાઓ છાયાત અને ઔદિચી શિલ્પી ગોસ્થીની ઓફિસને પણ નિશાન બનાવવામાં આવી હતી.
આ હિંસા એવા સમયે થઈ રહી છે જ્યારે બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીને આડે બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 2026 ના રોજ સામાન્ય ચૂંટણીઓ પ્રસ્તાવિત છે. જુલાઈ 2024 માં શેખ હસીના સરકારના પતન પછી યોજાનારી આ ચૂંટણી પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણી હશે.
ખુદાબક્ષ ચૌધરીનું રાજીનામું યુનુસની વચગાળાની સરકારમાંથી ચોથું મોટું રાજીનામું છે. અગાઉ, વિદ્યાર્થી નેતા અને સલાહકાર નાહીદ ઇસ્લામે 2025 ની શરૂઆતમાં રાજીનામું આપ્યું હતું. 10 ડિસેમ્બર 2025 ના રોજ, આસિફ મહમૂદ શોજીબ ભુઇયાએ સ્થાનિક સરકાર, ગ્રામીણ વિકાસ અને સહકાર મંત્રાલયમાં સલાહકારના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે જ દિવસે મહફુઝ આલમે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સલાહકાર પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

