બાંગ્લાદેશના પ્રખ્યાત વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા કેસમાં એક સનસનીખેજ વળાંક સામે આવ્યો છે, જેણે બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓના દાવા પર સવાલો ઉભા કર્યા છે. આ કેસના મુખ્ય આરોપી અને બાંગ્લાદેશના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ફૈઝલ કરીમ મસૂદના ઠેકાણાનો ખુલાસો થયો છે. બાંગ્લાદેશે પહેલા દાવો કર્યો હતો કે તે ભારતમાં છુપાયેલો છે, પરંતુ હવે જે વાત સામે આવી છે તે મુજબ તે દુબઈમાં છે.
તાજેતરમાં, ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (ડીએમપી) એડિશનલ કમિશનર એસ.એન. નઝમુલ ઈસ્લામે દાવો કર્યો હતો કે ફૈઝલ મસૂદ અને તેના સહયોગી આલમગીર શેખ મેઘાલય થઈને ભારત ભાગી ગયા હતા. જો કે, CNN-News18, તેના એક અહેવાલમાં, કેટલાક દસ્તાવેજો અને એક વીડિયોને ટાંકીને આ દાવાને સંપૂર્ણપણે પલટી નાખ્યો છે.
મસૂદ પાસે ડિસેમ્બર 2022માં જારી કરાયેલ યુનાઈટેડ આરબ અમીરાત (UAE)નો પાંચ વર્ષનો મલ્ટીપલ-એન્ટ્રી વિઝા છે. તે હાલમાં લાંબા ગાળાના પ્રવાસન વિઝા પર દુબઈમાં રહે છે.
જમાત-એ-ઈસ્લામી પર હત્યાનો આરોપ
દુબઈથી જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં ફૈઝલ મસૂદે પોતાને નિર્દોષ જાહેર કર્યો અને આ સમગ્ર કાર્યવાહીને રાજકીય કાવતરું ગણાવ્યું. મસૂદે દાવો કર્યો હતો કે હાદીની હત્યા પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ હોઈ શકે છે. તેણે કહ્યું, “હાદી પોતે જમાતની પેદાશ હતો અને સંભવ છે કે જમાતના તત્વોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હોય. મને અને મારા પરિવારને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.”
મસૂદે કબૂલ્યું હતું કે હાદી સાથે તેના વ્યાવસાયિક અને રાજકીય સંબંધો હતા કારણ કે તે આઇટી ફર્મ ધરાવે છે. તેણે કહ્યું કે તેણે હાદીને રાજકીય દાન પણ આપ્યું હતું, જેના બદલામાં હાદીએ તેને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું વચન આપ્યું હતું.

