શુભમન ગિલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ શુક્રવારે 21 નવેમ્બરે આ માહિતી આપી હતી. કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન શુભમન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી, જેના કારણે તે નિવૃત્ત થઈ ગયો હતો. ગિલની ઈજા એટલી ગંભીર હતી કે તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. જોકે બીજા જ દિવસે તેને રજા આપવામાં આવી હતી. ગિલ બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સાથે ગુવાહાટી પણ પહોંચ્યો હતો, પરંતુ મેચ માટે ફિટ ન હોવાને કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ઋષભ પંત હવે ગુવાહાટી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.
BCCIએ 21 નવેમ્બર, શુક્રવારે એક રિલીઝ જારી કરીને લખ્યું, ‘ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ, જેને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી, તે ગુવાહાટીમાં યોજાનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગિલને ગરદનમાં ઈજા થઈ હતી અને દિવસની રમત પૂરી થયા બાદ તેને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. તેઓ 19 નવેમ્બર 2025ના રોજ ગુવાહાટી ગયા હતા.

