નેપાળના મોરાંગ જિલ્લામાં મનમોહન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં બનેલી એક ઘટનાએ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં, કૉલેજ લાઇબ્રેરીમાં જગ્યા ખાલી કરવા માટે જૂના પુસ્તકોને બાળી નાખવામાં આવ્યા હતા, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા લખાયેલા પુસ્તક ‘ધ ગવર્નન્સ ઑફ ચાઇના’ની ઘણી નકલો હતી. કોલેજ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ પુસ્તકો વર્ષોથી બિનઉપયોગી પડ્યા હતા અને સ્ટોરેજના અભાવે તેને બાળી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કામગીરી જુનિયર સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો.
ચીની એમ્બેસીએ આ ઘટના સામે ગંભીર વાંધો વ્યક્ત કર્યો હતો અને કાઠમંડુ સ્થિત નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા નેપાળ સરકારને રાજદ્વારી નોંધ સુપરત કરી હતી. દૂતાવાસે નેપાળ સરકારનું ધ્યાન દોર્યું હતું કે આવી ઘટના પડોશી દેશ સાથેના સંબંધોને અસર કરી શકે છે. નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા આનંદ કાલેએ કહ્યું કે તેમને આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે શી જિનપિંગનું પુસ્તક સળગાવી દેવામાં આવ્યું હતું. ચીની દૂતાવાસની ચિંતાને ગંભીરતાથી લેવામાં આવી છે અને વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને પત્ર મોકલ્યો છે.
આ ઘટના પર નેપાળ સરકારનું વલણ
નેપાળ સરકારે આ મામલે તપાસ શરૂ કરી છે. મોરાંગના મુખ્ય જિલ્લા અધિકારી યુવરાજ કટ્ટેલે કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે કારણ કે નેપાળ અને ચીન વચ્ચે ગાઢ સંબંધો છે. આવી સ્થિતિમાં આવી ઘટનાઓને સાંખી શકાય તેમ નથી. વહીવટીતંત્રે નેપાળ પોલીસ અને જિલ્લા વહીવટી કચેરીને તપાસ સોંપી દીધી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. કોલેજ પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે પુસ્તકો સળગાવવાનો હેતુ માત્ર લાયબ્રેરીમાં જગ્યા બનાવવાનો હતો અને કોઈ રાજકીય કે વિરોધી ઈરાદા માટે નહોતો. તેમ છતાં આ ઘટના નેપાળ-ચીન સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

