કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કન્નડ ભાષાની ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને હિન્દી લાદવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે અંગ્રેજી અને હિન્દી પર વધુ પડતી નિર્ભરતા રાજ્યના બાળકોની પ્રતિભાને નષ્ટ કરી રહી છે. ત્રણ ભાષાની નીતિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનું નિવેદન આવ્યું છે. બેંગલુરુમાં એક સમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘રાષ્ટ્રીય તિજોરીમાં નોંધપાત્ર યોગદાન આપવા છતાં કર્ણાટકને તેનો યોગ્ય હિસ્સો મળતો ન હોવાથી સંઘીય માળખું નબળું પડી રહ્યું છે.’
સિદ્ધારમૈયાએ કહ્યું, ‘સંઘીય સરકાર કર્ણાટક સાથે સાવકી મા જેવું વર્તન કરી રહી છે. અમે કેન્દ્રને 4.5 લાખ કરોડ રૂપિયાની આવક આપીએ છીએ, પરંતુ તેના બદલામાં માત્ર નજીવી રકમ જ મળે છે. તેમણે આરોપ લગાવ્યો કે હિન્દી અને સંસ્કૃતના પ્રચાર માટે ઉદાર અનુદાન આપવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય ભારતીય ભાષાઓ (કન્નડ સહિત)ને હાંસિયામાં ધકેલી દેવામાં આવી રહી છે. હિન્દી થોપવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેણે તેને શાસ્ત્રીય ભાષા કન્નડ સાથે અન્યાય ગણાવ્યો.
કન્નડ વિરોધી શક્તિઓ સામે એક થવાની અપીલ
સીએમ સિદ્ધારમૈયાએ કન્નડ વિરોધી શક્તિઓ સામે એક થવાની અપીલ કરી હતી. તેમજ રાજ્યની ભાષા અને સંસ્કૃતિ માટે વધુ સન્માન અને ભંડોળની માંગણી કરી હતી. તેમણે કહ્યું, ‘કન્નડને તેના વિકાસ માટે પૂરતું ભંડોળ ન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આપણે બધા કન્નડ વિરોધી લોકોનો વિરોધ કરવાનો છે. મુખ્યમંત્રીએ શિક્ષણ વ્યવસ્થામાં અંગ્રેજી અને હિન્દીના વધતા વર્ચસ્વ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમની દલીલ એવી હતી કે આનાથી બાળકોની સર્જનાત્મકતા અને તેમના મૂળ સાથેનું જોડાણ નબળું પડી રહ્યું છે. CMએ કહ્યું કે, ‘વિકસિત દેશોના બાળકો માતૃભાષામાં વિચારે છે, શીખે છે અને સપનાં જુએ છે, પરંતુ અહીં સ્થિતિ વિપરીત છે. અમારા બાળકોની પ્રતિભા અંગ્રેજી અને હિન્દીને કારણે નબળી પડી રહી છે.

