નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશિ થરૂર અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેણે પોતાના નિવેદનથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. થરૂરે સોશિયલ મીડિયા પર ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના 98માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જે બાદ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું.
શશિ થરૂરે લાલકૃષ્ણ અડવાણીના રાજકીય વારસાનો બચાવ કરતા તેમની સરખામણી જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી સાથે કરી છે. તેમણે કહ્યું કે ભાજપના આ દિગ્ગજ નેતા દ્વારા દાયકાઓથી કરવામાં આવેલી જનસેવાનું મૂલ્યાંકન કોઈ એક ઘટનાના આધારે ન થવુ જોઈએ.
લાલ કૃષ્ણ અડવાણી વિશે વાત કરતા થરૂરે પોતાની પોસ્ટમાં લખ્યું કે તેમની લાંબી સેવાને એક ઘટના સુધી મર્યાદિત કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે જેમ નેહરુજીની કારકિર્દીને માત્ર ચીનની નિષ્ફળતા દ્વારા વ્યાખ્યાયિત કરી શકાતી નથી, કે ઈન્દિરા ગાંધીની કારકિર્દીને માત્ર ઈમરજન્સી દ્વારા વ્યાખ્યાયિત કરી શકાતી નથી, તેવી જ રીતે અડવાણીજીની કારકિર્દીને માત્ર એક ઘટના દ્વારા વ્યાખ્યાયિત કરી શકાતી નથી. તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન આપતા તેમણે લખ્યું કે આદરણીય શ્રી લાલ કૃષ્ણ અડવાણીને તેમના 98મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ! જનસેવા, નમ્રતા અને શિષ્ટાચાર પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને આધુનિક ભારતની દિશા નિર્ધારિત કરવામાં તેમની ભૂમિકા અવિશ્વસનીય છે. થરૂરે તેમને સાચા રાજનેતા ગણાવ્યા છે.
કોંગ્રેસના એક નેતા દ્વારા ભાજપના નેતાના વખાણ કરતી પોસ્ટ હવે ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે. તેમનું માનવું છે કે થરૂર ‘વિભાજનકારી રાજનીતિમાં આ બીજેપી નેતાની ભૂમિકા છુપાવવાનો’ પ્રયાસ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલ સંજય હેગડેએ પણ થરૂરની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે અડવાણીનો વિરોધ કર્યો છે અને તેમના પર નફરત ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે. હેગડેએ જવાબમાં લખ્યું હતું કે રથયાત્રા કોઈ એક ઘટના નથી, તે ભારતીય પ્રજાસત્તાકના મૂળભૂત સિદ્ધાંતોને પલટાવવાની લાંબી યાત્રા હતી. અડવાણીની રથયાત્રાને ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદના ધ્વંસની પ્રસ્તાવના તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે.

