બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધન બાદ બુધવારે લાખોની ભીડ તેમને અંતિમ વિદાય આપવા માટે રસ્તા પર ઉતરી આવી હતી. દાયકાઓ સુધી બાંગ્લાદેશના રાજકારણને પ્રભાવિત કરનાર ઝિયાનું મંગળવારે ઢાકામાં અવસાન થયું. તેમના મૃત્યુના એક દિવસ પછી, રાજધાની ઢાકામાં સંસદ ભવન બહાર માણિક મિયા એવન્યુમાં અંતિમ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમાં ભાગ લેવા માટે સવારથી જ ઢાકા અને દેશના વિવિધ ભાગોમાંથી લોકો ત્યાં પહોંચવા લાગ્યા હતા. અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે ઘણા લોકોએ રાતોરાત મુસાફરી કરી હતી. સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે ઘણા સમર્થકો રડતા અને તેને ‘મા’ કહીને બોલાવતા જોવા મળ્યા હતા.
અંતિમ નમાજ દરમિયાન ખાલિદા ઝિયાના પાર્થિવ દેહને બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યો હતો. મૃતદેહને હોસ્પિટલમાંથી તેમના નિવાસસ્થાને અને પછી સંસદ ભવન પાસે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. સુરક્ષા માટે લગભગ 10 હજાર પોલીસકર્મીઓ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ખાલિદા ઝિયાના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે બાંગ્લાદેશમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. બુધવારે, દેશભરમાં જાહેર રજા મનાવવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજ અડધા માસ્ટમાં લહેરાવવામાં આવ્યો હતો.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, દેશભરમાંથી તેમના સમર્થકો અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ સિવાય ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળના ઘણા અધિકારીઓ પણ ઢાકા પહોંચ્યા હતા. માહિતી અનુસાર, જિયાના અંતિમ સંસ્કારમાં 32 દેશોના પ્રતિનિધિઓ અને દૂતાવાસોના અધિકારીઓ સામેલ થયા હતા. બુધવારે જ તેને સંસદ ભવન પાસેના પાર્કમાં પતિની કબર પાસે દફનાવવામાં આવશે.
જયશંકરે પીએમ મોદીનો શોક સંદેશ આપ્યો
આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બુધવારે ઢાકા પહોંચ્યા હતા. જયશંકરે બુધવારે અહીં ખાલિદા ઝિયાના પુત્ર અને BNPના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાનને મળ્યા હતા અને ઝિયાના નિધન પર ઊંડી શોક વ્યક્ત કરી હતી. તેમણે રહેમાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અંગત પત્ર પણ આપ્યો હતો.

