તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિને વધુ એક નવો વિવાદ સર્જ્યો છે. સ્ટાલિને ભાષાઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા ભંડોળ પર સવાલ ઉઠાવ્યા અને સંસ્કૃતને મૃત ભાષા ગણાવી. એટલું જ નહીં, સ્ટાલિને મોદી સરકાર પર તમિલ ભાષાની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો. તમને જણાવી દઈએ કે, ઉધયનિધિ સ્ટાલિન તેમના સનાતન વિરોધી અને હિન્દી વિરોધી નિવેદનો માટે જાણીતા છે.
ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીના તાજેતરના નિવેદનો પર હુમલો કરતા, ઉધયનિધિએ તેમના પર તમિલની ઉપેક્ષા કરવાનો અને સંસ્કૃતને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. પીએમ મોદીને સીધું સંબોધતા સ્ટાલિને કહ્યું, “જ્યારે તમે તમિલ શીખવા માટે આટલા ઉત્સુક છો, તો તમે બાળકોને હિન્દી અને સંસ્કૃત કેમ શીખવો છો?” એટલું જ નહીં, મુખ્યમંત્રીના પુત્ર ઉધયનિધિએ આરોપ લગાવ્યો કે, છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે સંસ્કૃતના વિકાસ માટે લગભગ 2400 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જ્યારે તમિલ ભાષા માટે માત્ર 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ઉધયનિધિના નિવેદન બાદ તરત જ રાજકીય વિવાદ શરૂ થયો હતો. ભારતીય જનતા પાર્ટીએ ઉધયનિધિ પર સાંસ્કૃતિક પરંપરાઓ અને ધાર્મિક લાગણીઓનું અપમાન કરવાનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો.
ભાજપના નેતા તમિલિસાઈ સૌંદરરાજને ઉધયનિધિના આ નિવેદનની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિ ક્યારેય કોઈ પણ ભાષાને અપમાનિત કરવાનું સમર્થન કરતી નથી. તેમણે કહ્યું કે, “આપણે આપણી ભાષાના વખાણ અને પ્રશંસા કરી શકીએ છીએ, પરંતુ તમિલ સંસ્કૃતિ આપણને બીજી ભાષાનું અપમાન કરવાની મંજૂરી આપતી નથી.”
આટલું જ નહીં, સૌંદરરાજને ઉધયનિધિ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ પહેલા પણ સનાતન ધર્મનું અપમાન કરી ચૂક્યા છે, અને હવે તેઓ પૂજામાં ઉપયોગમાં લેવાતી ભાષાને નિશાન બનાવી રહ્યા છે.

