દિલ્હીના લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટની તપાસ કરી રહેલી NIAને મોટી સફળતા મળી છે. NIAએ આ મામલામાં પહેલી ધરપકડ કરી છે અને રાષ્ટ્રીય રાજધાનીમાંથી આમિર રાશિદ અલી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. કહેવાય છે કે બ્લાસ્ટ કરનાર i20 કાર આ આમીરના નામે રજીસ્ટર હતી. NIAએ દિલ્હી પોલીસ પાસેથી મામલો સંભાળી લીધા બાદ મોટાપાયે તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ તેને આ સફળતા મળી હતી.
આમિરે ડો.ઉમર સાથે મળીને કાવતરું ઘડ્યું હતું
ધરપકડ કરાયેલ આમિર રાશિદ જમ્મુ-કાશ્મીરના પમ્પોરનો રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું છે કે આમિરે હુમલાખોર ડૉ.ઉમરે સાથે મળીને લાલ કિલ્લા પર બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં જે હ્યુન્ડાઈ i20 કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે આમિર રાશિદ અલીના નામે રજીસ્ટર કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આમિર રાશિદ અલી પણ તે i20 કારની ખરીદીમાં મદદ કરવા માટે કથિત રીતે દિલ્હી આવ્યો હતો.
આત્મઘાતી બોમ્બરની શોધ ચાલુ હતી.
NIAની ફોરેન્સિક તપાસમાં કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ડ્રાઈવરની ઓળખ પુલવામા જિલ્લાના રહેવાસી ઉમર ઉન નબી તરીકે થઈ છે. ડો. ઉમર નબી ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે દિલ્હી વિસ્ફોટો માટે જવાબદાર ‘વ્હાઈટ કોલર’ ટેરર મોડ્યુલ છેલ્લા એક વર્ષથી આત્મઘાતી બોમ્બરની શોધ કરી રહ્યો હતો. આ મોડ્યુલનો મુખ્ય ષડયંત્રકાર ડૉ.ઉમર નબી હતો, જે દિલ્હી વિસ્ફોટોમાં માર્યો ગયો હતો.
ઓમર ‘આત્મઘાતી બોમ્બર’નો આગ્રહ રાખતો હતો.
અધિકારીઓનું કહેવું છે કે ડો.ઓમર આ આતંકી મોડ્યુલ માટે આત્મઘાતી બોમ્બરની શોધ કરી રહ્યા હતા. ઓમર કટ્ટરપંથી હતો અને તેણે ઓપરેશન હાથ ધરવા માટે ‘આત્મઘાતી બોમ્બર’નો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. શ્રીનગર પોલીસે દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડમાંથી જાસીર ઉર્ફે દાનિશની અટકાયત કરી હતી, જેણે આ બાબતોનો ખુલાસો કર્યો છે. જાસિરે ખુલાસો કર્યો છે કે તે કુલગામની એક મસ્જિદમાં આતંકી મોડ્યુલના સભ્યોને મળ્યો હતો.

